આદિપુરમા બસ ચોરનારો નહીં, વાડામાં રાખનારો શખ્સ ઝડપાયો
બે દિવસ પહેલા ૧૧ લાખની લક્ઝરી બસ ચોરાઈ હતી : બસ ચોરીને પડાણાના વાડામાં રાખી તેમાંથી ડીઝલની ચોરી થયાનું ખુલ્યું
ગાંધીધામ : આદિપુર અને ગાંધીધામ સંકૂલમાં વાહન ચોરીની ઘટનાઓ દરરોજ બની રહી છે, જેમાં કયારેક જ આરોપી પકડાતા હોય છે. પરંતુ તસ્કરો આખે આખી બસને હંકારી જતાં કાયદો વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા હતા. ત્યારે આદિપુર પોલીસે બસ ચોરનારાના શખ્સને નહીં પણ જેના વાડામાં બસ રાખી હતી. તે શખ્સને ઉઠાવી લીધો છે. અને જાહેર કર્યું છે કે, બસ ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડતી આદિપુર પોલીસ ! આદિપુર પીએસઆઈ બી.વી. ચુડાસમાને બાતમી મળી હતી કે, ભચાઉના હજીયાવાંઢમાં રહેતો વસરામ ઉર્ફે વસીયો છગનભાઈ કોલીએ આદિપુરમાંથી બાલાજી કંપનીની બસની ચોરી કરી આ બસ રામદેવપીર મંદિર પડાણા ખાતે વિજયભાઈ દેવીપૂજકના કબ્જાના વાડામાં રાખી હતી. અને બસમાંથી ડીઝલ કાઢી લીધું છે. જેથી વાડામાં જઈ ચોરીમાં ગયેલ બસ અને ૪૦ લિટર ડીઝલ કબ્જે કરવામાં આવ્યું હતું. અને વાડા માલિકની અટક કરવામાં આવી હતી. જો કે બસ હંકારી જનારો વસરામ હાથ લાગ્યો નથી.