જયંતીભાઈ ભાનુશાળીનાં હત્યારાઓને શોધવા પોલીસ દોડધામમાં
ભાજપના પીઢ નેતા જયંતિભાઈ ભાનુશાળીની હત્યાને એક મહિનો પુરો થયો પરંતુ તપાસ માટે રચવામાં આવેલુ ખાસ તપાસ દળ શુટરો સુધી પહોંચી શકયુ નથી, તપાસ દળના દાવા પ્રમાણે તેમણે ભાડુતી હત્યારાઓને ઓળખી લીધા છે પરંતુ તેમને શોધવા માટે આકાશ પાતાળ એક કરવા છતાં તેમના સુધી પહોચી શક્યા નથી . ગુજરાત એટીએસની ટીમને જાણકારી મળી હતી ભાડુતી હત્યારાઓ હત્યા બાદ જમ્મુમાં છુપાયા છે. જેના આધારે એટીએસની ટીમ જમ્મુ પહોંચી પણ તે પહેલા તેઓ નિકળી મહારાષ્ટ્ર તરફ રવાના થઈ ગયા હતા. આમ ફરી વખત પોલીસને નિષ્ફતા મળી છે. 8 જાન્યુઆરીના રોજ જયંતિભાઈ ભાનુશાળીની હત્યા થયા બાદ ડીજીપી શીવાનંદ ઝા દ્વારા ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચના ડીઆઈજી ગૌતમ પરમારના વડપણ હેઠળ સીટની રચના કરી હતી. જેમાં ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચને પણ સામેલ કર્યા હતા. પોલીસને હાથ લાગેલા તથ્યો પ્રમાણે જયંતિભાઈની હત્યા માટે પુર્વ ધારાસભ્ય અને જયંતિભાઈના રાજકિય હરિફ છબીલ પટેલ અને મનિષા ગોસ્વામીએ સાથે મળી કાવતરુ રચી જયંતિભાઈ ભાનુશાળીનું કામ ભાડુતી હત્યારાઓ મારફતે તમામ કર્યુ હતું.
આ મામલે હમણાં સુધી છબીલ પટેલના બે વિશ્વાસુની ધરપકડ પણ થઈ ચુકી છે. જો કે ભાડુતી માણસો ઓળખાઈ ગયા બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દિવસો સુધી પુનામાં ધામા નાખ્યા હતા પણ તેમનો પત્તો લાગ્યો ન્હોતો.તાજેતરમાં ગુજરાત એટીએસને જાણકારી મળી કે ભાડુતી માણસો પાસે પૈસા ખલાસ થવા આવ્યા છે અને તેઓ જમ્મુમાં છુપાયા છે. આ માહિતીને આધારે એટીએસની ટીમ તરત જમ્મુ પહોંચી હતી. ભાડુતી શૂટર્સ જે હોટલમાં રોકાયા હતા ત્યાં સુધી પણ અધિકારી પહોંચી ગયા હતા. પરંતુ પોલીસ પહોંચી તેને થોડા સમય પહેલા તેઓ હોટલ છોડી નિકળી ગયા હતા. આ હત્યારાઓને શોધવા માટે ફરી ટીમોએ તપાસ શરૂ કરતા તેઓ છેલ્લે તેઓ ભુસાવળ પાસે હોવાની જાણકારી મળી હતી. જો કે ત્યાં પહોંચ્યા પછી પણ તેઓ ત્યાંથી નિકળી ગયા હોવાની ખબર મળી હતી. આમ શૂટર્સ પોલીસ કરતા હાલમાં એક ડગલુ આગળ ચાલી રહ્યા છે.