મુંદ્રા ની મોટી ભુજપુર ખાતે અસામાજિક તત્વો બાબાસાહેબ આબેંડકરનું પૂતળું ચોરી ગયા..
મુંદરા તાલુકાના મોટી ભુજપુર ગામે કોઈક ચોર ડૉ. બાબાસાહેબ આંબેડકરનું આખેઆખુ પૂતળું ચોરી ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર બાબાસાહેબનું પૂતળું ગામમાં આવેલી એ.જે.હાઈસ્કુલની ઉત્તરે દિવાલથી આગળ સીમતળની શ્રીસરકારની ખુલ્લી જમીન પર સિમેન્ટ બ્લોકનું કાચું પરથાળ બનાવી સ્ટેન્ડ પર લગાડવામાં આવ્યું હતું. આ જગ્યાએ પંચાયત તરફથી બગીચો બનાવી બાઉન્ડ્રી બાંધેલી છે. આ જગ્યાએ બાબાસાહેબનું પૂતળું મુકવા અગાઉ પંચાયત સમક્ષ વારંવાર રજૂઆતો કરાઈ હતી અને એક દિવસના ધરણાં પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સરપંચની મૌખિક મંજૂરીથી ગત 14મી એપ્રિલે બાબાસાહેબની જન્મજયંતીના રોજ ગ્રામજનોની હાજરીમાં બાબાસાહેબનું પૂતળું મુકવા ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ ત્રણ દિવસ પૂર્વે ગત છઠ્ઠી ડિસેમ્બરના રોજ 5 હજાર રૂપિયાના ખર્ચે બાબાસાહેબનું પૂતળું લવાઈ અહીં સ્થાપવામાં આવ્યું હતું. પૂતળાની ચોરીનો બનાવ ગત રાત્રિ દરમિયાન બન્યો હોવાનું જાણવા મળે છે કારણ કે ગત રાત્રે પોણા દસ વાગ્યે અહીં પૂતળું હતું તે ગામના વિનોદભાઈ સુમારભાઈ થારુએ જોયું હતુ અને આજે સવારે સાતેક વાગ્યાના અરસામાં પોતે અહીં જોયું તો પૂતળું ગાયબ હતું. ગામના દલિત આગેવાનો આજુબાજુમાં તપાસ કર્યા બાદ પૂતળું ના મળતાં મુંદરા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.