ગુજરાતની હિન્દુ વિચાર ધારાને વરેલી ભાજપ સરકારે સ્કુલોમાં અપાતું નવરાત્રિ વેકેશન રદ કર્યું.
ગુજરાતની સ્કૂલોમાં નવરાત્રિ વેકેશનની ગયા વર્ષે ૩૧ જુલાઇના રોજ મોટા ઉપાડે શરુઆત કર્યા બાદ એક જ વર્ષમાં આ નિર્ણય પડતો મૂકવામાં આવ્યો છે. ગયા વર્ષે ભારે વાદ-વિવાદ વચ્ચે કેટલીક સ્કૂલોએ વિદ્યાર્થીઓને નવરાત્રિમાં વેકેશન આપ્યું હતું, જ્યારે કેટલીક સ્કૂલોએ ધરાર શૈક્ષણિક કાર્ય ચાલુ રાખ્યું હતું. જોકે, એક જ વર્ષમાં નવરાત્રિના વેકેશનને બંધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. નવરાત્રિમાં જેટલા દિવસ વેકેશન અપાતું હતું તેટલા દિવસો દિવાળીના વેકેશનમાં કાપી લેવામાં આવ્યા હતા. જેના કારણે વેકેશનમાં ફરવા જવાના આયોજનો ખોરવાતા હતા. જેથી વાલીઓનો એક વર્ગ તેનાથી નારાજ હતો. વળી, પરીક્ષાઓના ટાઈમ ટેબલ પણ નવરાત્રિના વેકેશન સાથે સુસંગત ન હોવાથી શિક્ષકો પણ નવરાત્રિ વેકેશનની તરફેણમાં નહોતા.જે સ્કૂલોએ નવરાત્રિમાં વેકેશન નહીં અપાય તેવી જાહેરાત કરી હતી તેમની સામે પણ રાજ્ય સરકારે પગલાં લેવાની ચિમકી આપી હતી. આખરે સીબીએસઈની સ્કૂલોને તેમાંથી બાદ કરાઈ હતી. જોકે, ચર્ચાસ્પદ બનેલી નવરાત્રિમાં વેકેશનની જોગવાઈને જ સરકારે આખરે રદ્દ કરી દીધી છે.