ર૦૦૦ની નોટ માર્કેટમાંથી અદ્રશ્ય થઇ રહી છે : આયકર વિભાગનો નવો ધડાકો
બે હજારની નોટો બજારમાંથી ઝડપભેર ગાયબ થઇ રહી છે. આનુ કારણ ફકત સંઘરાખોરી જ નથી પણ હવાલાના કારોબારમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવી રહયો છે. આ પૈસા કુરીયર દ્વારા મોકલાઇ રહયા છે. આવકવેરા વિભાગની તપાસમાં બહાર આવ્યા પછી એજન્સીએ બે ડઝન ધંધાર્થીઓને પોતાના રડાર પર રાખ્યા છે.
રિઝર્વ બેન્કના રિપોર્ટ અનુસાર, બજારમાં ચલણ ફરતી નોટોમાં બે હજારની નોટોનો હિસ્સો ઘટીને લગભગ ૩૧ ટકા રહી ગયો છે. એક વર્ષ પહેલા તે પ૦ ટકા હતો. આટલી મોટી સંખ્યામાં નોટો ગાયબ થવા પાછળ કુરીયર કંપનીઓ અને હવાલા ધંધાર્થીઓની ભૂમિકા હોવાનું બહાર આવ્યું છે. આવકવેરા નિર્દેશાલયની તપાસમં આ ખુલાસો થયો છે.
પહેલા એક હજારની નોટો હવાલામાં વપરાતી હતી પણ કુરીયરના એક પેકેટમાં ૪પ લાખ રૂપિયા જ સપ્લાય થઇ શકતા હતાં. હવે કદ અને વજન ઓછું હોવાના કારણે બે હજારની નોટની માંગ વધી ગઇ છે. એક હજારની એક નોટનું વજન ૧.ર૩ ગ્રામ હતું જયારે બે હજારની નોટ ફકત એક ગ્રામની છે. તપાસ રિપોર્ટ અનુસાર બજારમાંથી ગાયબ થયેલ ર૦૦૦ ની નોટોનો ૩૦ ટકાથી વધારે હિસ્સો હવાલા નેટવર્કમાં ઉપયોગ થઇ રહ્યો છે.