હવેથી અભ્યાસ અધૂરો હોય એવા વિદ્યાર્થી ઓપન સ્કૂલ દ્વારા બોર્ડ પાસ કરી શકશે

Contact News Publisher

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી) નેશનલ એજ્યુકેશન પોલિસી (એનઈપી)2020ને ધ્યાનમાં રાખીને વિવિધ કારણોસર શાળા છોડી જતા,અધૂરો અભ્યાસ છોડી મૂકતા, નિયમિત વિદ્યાર્થી તરીકે દાખલ થવા ન ઈચ્છતા વિદ્યાર્થીઓને ઘરબેઠા શિક્ષણ પૂરું પાડવા ગુજરાત સરકારે ‘ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ’ (જીએસઓએસ)ની રચના કરી છે.

નિર્ણય અનુસાર શૈક્ષણિક વર્ષ 2023-2024થી ધોરણ 9થી 12માં ઘરેબેઠા અભ્યાસ કરી શકે અને તે પછી પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જે અંતર્ગત હાલમાં ચાલુ વર્ષથી ધોરણ 10-12 (સામાન્ય પ્રવાહમાં ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓને જીએસઓએસ મારફતે પરીક્ષા આપી શકશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માધ્યમિક વિભાગમાં ધોરણ 9 અને 10નો તથા ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના સામાન્ય પ્રવાહમાં ધોરણ 11 અને ધોરણ 12માં અભ્યાસ પણ જીએસઓએસના રજિસ્ટર્ડ વિદ્યાર્થી તરીકે કરી શકશે.

જીએસઓએસમાં રજિસ્ટ્રેશન માટે કોઈ ફી લેવામાં આવશે નહીં, અભ્યાસ માટેની તમામ સેવાઓ નિ:શુલ્ક રહેશે. ગુજરાત રાજ્યના દરેક તાલુકામાં જે તે તાલુકામાં ચાલતી એક માધ્યમિક શાળાને જીએસઓએસ સ્ટડી સેન્ટર તરીકે માન્યતા અપાશે. તેની પસંદગીમાં મોડેલ સ્કૂલ્સ, સરકારી સ્કૂલોને પ્રાધાન્ય આપવામાં આવશે. જીએસઓએસ ખાતે નોંધાયેલા વિદ્યાર્થીઓ માટે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પાઠ્યપુસ્તકો અને ગુજરાત એજ્યુકેશન ટેક્નોલોજીસ લિમિટેડ (જીઈટી) દ્વારા ઉપલબ્ધ કરાયેલ જી-શાલા સહિત તમામ ઈ-કન્ટેન્ટ વિનામૂલ્યે પૂરું પાડવામાં આવશે.

જીએસઓએસમાં નોંધાયેલા વિદ્યાર્થીઓ માટેનું પ્રશ્નપત્રનું પરિરૂપ અને વિષય માળખું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી) દ્વારા નિયમિત વિદ્યાર્થીઓ માટે અમલમાં હોય તે મુજબનું રહેશે. તેમની પરીક્ષા પણ ગુજરાત બોર્ડના નિયમિત વિદ્યાર્થીઓની સાથે જ યોજવામાં આવશે

આર્થિક કારણોસર શિક્ષણ છોડનારને લાભ: બોર્ડ
કોઈ પણ વિસ્તારમાં રહેતાં બાળકોએ આર્થિક કે સામાજિક કારણોસર અભ્યાસ છોડ્યો હોય કે દિવ્યાંગ હોવાને કારણે સ્કૂલ જઈ શક્યા ન હોય તેમના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા ગોઠવાઈ છે.’
– એન. જી. વ્યાસ, સચિવ, ગુજરાત માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર

ધોરણ 10-12 (સામાન્ય પ્રવાહ) બોર્ડની પરીક્ષા માટે કુલ 40,000 વિદ્યાર્થી નોંધાયા હતા ગુજરાત માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી)ની ગત માર્ચ-2023ની યોજાયેલી પરીક્ષામાં ધોરણ 10માં ખાનગી વિદ્યાર્થી તરીકે 10,000 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે 30,000 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

રજિસ્ટ્રેશન માટેની યોગ્યતા, પ્રક્રિયા આ પ્રમાણે રહેશે
ધોરણ 9 માટે જે તે શૈક્ષણિક વર્ષમાં 1 જૂનના રોજ 13 વર્ષ પૂર્ણ કરેલ હોય તેવો વિદ્યાર્થી.,ધોરણ 10 માટે જે તે શૈક્ષણિક વર્ષમાં 1 જૂનના રોજ 14 વર્ષ પૂર્ણ કરેલ હોય તેવો વિદ્યાર્થી. ,ધોરણ 11 સામાન્ય પ્રવાહ માટે ધોરણ 10 પાસ કરેલ વિદ્યાર્થી.,ધોરણ 9-12માં નોંધણી કરાવવા વિદ્યાર્થી પોતાના રહેઠાણની નજીક આવેલી કોઈ પણ સરકારી, અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાનો સંપર્ક કરી શકશે. , જે તે બ્લોક રિસોર્સ સેન્ટર દ્વારા આવા વિદ્યાર્થીઓની નોંધણી, રજિસ્ટ્રેશન https;//www.ssagjarat.org પોર્ટલ પર કરવાની રહેશે.