ચેક રિટર્ન કેસમાં ભાજપ નેતાને 1 વર્ષની સજા, 1.90 લાખના 3.80 લાખ ચૂકવવા આદેશ
મળતી માહિતી મુજબ 2020 માં ભાજપનાં પૂર્વ મહિલા કોર્પોરેટર ઉષાબહેન તલરેજા સામે નરેશ રાજાઈએ ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હતી. નરેશ રાજાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ઉષાબહેન પિરછલ્લા વોર્ડનાં કોર્પોરેટર હતા. તે દરમ્યાન નરેશ રાજાએ ઉષાબેનને પૈસાની જરૂરીયાત હોઈ નરેશ રાજાએ ઉષાબેનને રૂા. 1.90 લાખ વગર વ્યાજે આપ્યા હતા.
એકાઉન્ટમાં પુરતા નાણાં ન હોઈ ચેક રિટર્ન થયો હતો
થોડા સમય બાદ ઉષાબેને તે રકમ પરત કરવા માટે નરેશ રાજાને અલ્હાબાદ બેંકનો રૂા. 1.90 લાખનો ચેક આપ્યો હતો અને પ્રોમીસરી નોટ લખી આપી હતી. જે બાદ ઉષાબેન દ્વારા આપેલ ચેક ફરિયાદીએ તા. 3 જાન્યુઆરી 2020 નાં રોજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં જમા કરાવ્યો હતો. પરંતું ઉષાબેનનાં એકાઉન્ટમાં પુરતા નાણાં ન હોઈ ચેક રિટર્ન થયો હતો.
કોર્ટે 1 વર્ષની સાદી કેદ અને વળતર ચૂકવવા આદેશ કર્યો
જે બાદ નરેશ રાજા દ્વારા ચેક રિટર્ન થતા વકીલ ડી.એમ.મહેતા મારફતે ઉષાબેનને નોટીસ મોકલી હતી. જે બાદ પણ ઉષાબેન દ્વારા ચેકની રકમ ચૂકવી આપવામાં ન આવતા ઉષાબેન સામે ભાવનગર કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે કેસમાં કોર્ટે આરોપી ઉષાબહેન તલરેજાને ચેક રિટર્ન કેસમાં દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદ અને વળતર પેટે રૂા. 3.80 લાખની રકમ ચૂકવવા કોર્ટે આદેશ કર્યો હતો.