વસ્ત્રાપુરમાં પથ્થરમારા મામલે PI ગોવિંદ ભરવાડ સામે ફરિયાદ, પત્રિકામાં નામ લખાવવા મુદ્દે થઈ હતી બબાલ
અમદાવાદના વસ્ત્રાપુરમાં બુધવારે રાતે ભરવાડવાસમાં જૂથ અથડામણની ઘટના બની હતી. એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા 7 જેટલા લોકો ઘાયલ થયા અને એક 70 વર્ષીય મહિલાનું મોત થયું. ત્યારે હવે આ મામલે પોલીસે ગાંધીનગરમાં ટ્રાફિકના PI ગોવિંદભાઈ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
ભરવાડવાસમાં બે જૂથ વચ્ચે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની પત્રિકામાં નામ છપાવવા મુદ્દે એક જ કોમના બે જૂથ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. 9 મેના રોજ થવાના મંદિરના પ્રાણપ્રતિષ્ઠાના ઉત્સવની પત્રિકામાં નામ લખવા બાબતે અથડામણ થઈ. વસ્ત્રાપુર ગામમાં થયેલી આ જૂથ અથડામણમાં ગાંધીનગર ટ્રાફિક પોલીસના PI ગોવિંદ ભરવાડ સામેલ હોવાની વાત સામે આવી છે. મળતી માહિતી અનુસાર, PI ગોવિંદ ભરવાડને પોતાનું નામ પત્રિકામાં નોંધાવવું હતું. હવે પોલીસે હત્યા, હત્યાનો પ્રયાસ અને રાયોટિંગ કેસમાં PI ગોવિંદ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. પોલીસે PI ગોવિંદ ભરવાડ સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.