પ્રધાનમંત્રી કિસાન યોજના કાર્યમાં ઝડપ લાવો : કચ્છ કલેક્ટર
સંકલન બેઠકમાં પદાધિકારીઓ દ્વારા વિવિધ લોકપ્રશ્નોની રજૂઆત કરાઈ
ભુજ,
જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહનના અધ્યક્ષપદે આજે મળેલી સંકલન સમિતિની પ્રથમ તબકકાની બેઠકમાં પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ નાના ખેડૂતોને રૂ. ૬૦૦૦/-ની સહાય આપવાના પંચાયત અને મહેસુલ વિભાગમાં દિવસ-રાત ચાલી રહેલા કાર્યને પ્રથમ અગ્રતા આપવાનો નિર્દેશ આપતાં જિલ્લા કલેકટરે નોડલ અધિકારીઓને અને પ્રાંત કક્ષાએથી મોનીટરીંગ કરવા સૂચનાઓ આપી હતી. સાચો લાભાર્થી સહાયથી વંચિત ન રહી જાય તેની કાળજી રાખવા સાથે કામગીરીમાં ઝડપ લાવવા તેમણે અનુરોધ કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીએ આ તકે કામગીરીના બીજા તબકકામાં ફોલોઅપ લેવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
નરા જુથ ગ્રામ પંચાયતની રજૂઆત સંદર્ભે ધોરડોથી માતાના મઢને જોડતો હાજીપીર-નખત્રાણા માર્ગ વેળાસર રીપેર થાય તે માટે જિલ્લા કલેકટર દ્વારા પંચાયત વિભાગના માર્ગ- મકાન વિભાગને તાત્કાલિક દરખાસ્ત મોકલી આપવા સૂચના આપી હતી.
બીજા તબક્કાની ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીઓનાં પ્રશ્નોમાં જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા રવ મોટી મુકામે પોલીસ કવાર્ટર જર્જરીત હોવાના અને ડાવરી ગામે વીજપોલ બદલવાની રજૂઆત કરી હતી. તેમણે રાપર-ફતેહગઢ માર્ગ ખરાબ હોઇ કયારે રીપેર કરાશે તેની વિગતો જાણવા માંગી હતી. માર્ગ-મકાન વિભાગ તરફથી રાડાની હદમાં આવતા રસ્તા સિવાયના માર્ગની દુરસ્તી બાબતે માર્ગ-મકાન વિભાગના કે.આર.પટેલે દ્વારા વિગતો પૂરી પડાઇ હતી.
માંડવી-મુંદરાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાએ બાગાયતી પાકોમાં દાડમ અને કેરીમાં સહાયના ધોરણો બાબતે પૃછા કરતાં બાગાયત અધિકારી શ્રી મોઢ દ્વારા તેમને વિગતો પૂરી પડાઇ હતી.દ્વા
અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા ધારાસભ્યની ગ્રાંટમાંથી શેડ બનાવવા સંદર્ભે ગાઇડલાઇન મંગાતા જિલ્લા આયોજન અધિકારીશ્રી રાઓલે તાલુકા અને જિલ્લા મથકે શેડ બનાવવા મંજૂરી અપાતી હોવાનું જણાવી સંકલિત માર્ગદર્શિકાની નકલ પૂરી પાડી હતી. આ સિવાય અબડાસાના લાલા વિસ્તારમાં લોડ વધતા મોટરો બળી જતાં હોવાનું જણાવી સબ-સ્ટેશનનું આયોજન અંગે જાણવા માંગ્યું હતું. સામખીયાળી-સુરજબારી નર્મદા પાઇપલાઇન આસપાસ મીઠાના પ્લોટને કારણે તે સડી જવાની શકયતા દર્શાવતાં જિલ્લા કલેકટર દ્વારા પ્રાંત કચેરી, નર્મદા અને પાણી પુરવઠા વિભાગની ટીમ બનાવી હકિકત તપાસવા નિર્દેશ આપ્યો હતો.
સામાજીક ન્યાય સમિતિના ચેરમેન વસંતભાઈ વાઘેલાએ ચર્ચામાં ભાગ લીધો હતો.
આગામી ૨૩મી ફેબ્રુઆરીથી જિલ્લા શરૂ થનારા સુજલામ-સુફલામ જળ અભિયાન કાર્યક્રમ માટેની માસ્ટર પ્લાનની કામગીરી પૂર્ણતાના આરે હોવાનું સિંચાઇ વિભાગના શ્રી સોનકેસરીયાએ વિગતો આપી હતી. ૩૧મી મે સુધી ચાલનારા આ કાર્યક્રમને વેગવંતો બનાવવા જિલ્લા કલેકટરે પણ અધિકારીઓને સૂચના આપી હતી.
અધિક કલેકટર કે.એસ.ઝાલાએ અધિકારીઓની સમીક્ષા બેઠકમાં સરકારી બાકી લેણાંની વસૂલાત, પેન્શન કેસો, નાગરિક અધિકારપત્ર, પ્રાથમિક તપાસ તેમજ એસીબીના કેસો સંબંધે વિભાગોને સૂચના આપી સમીક્ષા કરી હતી. તેમણે સંબંધિત વિભાગોને નિયમિતપણે માહિતી મોકલવા તાકીદ કરી હતી.
આ બેઠકમાં પશ્ચિમ વિભાગના પોલીસ વડા એમ.એસ.ભરાડા, સિવિલ સર્જન ડો. કશ્યપ બુચ, પૂર્વ કચ્છના ડીવાયએસપી શ્રી વાઘેલા, અંજાર પ્રાંત વી.કે.જોષી, અબડાસા પ્રાંત ડી.એ.ઝાલા, મુંદરા પ્રાંત અવિનાશ વસ્તાણી, નખત્રાણા પ્રાંત જી.કે.રાઠોડ, ભચાઉ પ્રાંત શ્રી જોષી, સીડીએચઓ ડો. પંકજકુમાર પાંડે, પશુપાલન વિભાગના ડો.બ્રહ્મક્ષત્રિય, ખેતીવાડીના શ્રી શિહોરા, આર.ટી.ઓ.શ્રી યાદવ, પ્રોજેકટ ઓફિસર રવિરાજસિંહ ઝાલા, ડે.ડીડીઓ અશોક વાણિયા સહિતના જુદાં-જુદાં વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
– મા આશાપુરા ન્યુઝ ,
કચ્છીયત ટીવી સમાચાર ,
YouTube : maa news live .
Website : www.maashapuranews.com
- Email : jaymalsinhjadeja@gmail.com
#maanews ,
Whatsapp :
94287 48643 માહિતી માટે.
97252 06127 સમાચાર મોકલવા માટે .
97252 06136 “મા ન્યુઝનાં” ગ્રુપમાં જોડાવા માટે.