ટ્રૂડોને મેં આપી હતી 9 ખાલિસ્તાની સમર્થક આતંકવાદીઓની યાદી, પરંતુ ધ્યાને ન લેવાઈ : કેપ્ટન અમરિંદર સિંહ
ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યાને લઈને તણાવ ચાલી રહ્યો છે ત્યારે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કેનેડાના PM જસ્ટિન ટુડો દ્વારા ભારત પર લગાવેલા પાયાવિહોણા આરોપોની આકરી નિંદા કરી છે. તેમણે કેનેડા પર આતંકવાદ સાથે સંકળાયેલા લોકોને રાજકીય આશ્રય આપવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે મે વર્ષ 2018માં A-કેટેગરીના આતંકવાદીઓની યાદી આપી હતી જેની કેનેડાએ અવગણના કરી હતી.અમરિંદર સિંહ કહ્યું હતું કે ફેબ્રુઆરી 2018માં અમૃતસરમાં ભારત સરકારના તરફથી પંજાબના મુખ્યમંત્રી તરીકે હું ટુડોને મળ્યો હતો, ત્યારે કાર્યવાહી માટે મે A-કેટેગરીના નવ આતંકવાદીની યાદી આપી હતી પરંતુ કેનેડિયન સરકારે આ યાદીની સંપૂર્ણ અવગણના કરી હતી. જસ્ટિન ટુડોએ હાલમાં જ કેનેડામાં ખાલિસ્તાની વોંન્ટેડ આતંકવાદી હરદીપસિંહ નિજ્જરીની હત્યામાં ભારત સરકારના એજન્ટોની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત અમરિંદર સિંહે ભારતની ધરતી પર અનેક ગુનાઓમાં સામેલ આતંકવાદીઓને સોંપવા માટે કેનેડા પર આંતરરાષ્ટ્રીય દબાણ વધારવાનું આહ્વાન કર્યું હતું તેમજ ભારત વિરોધી ગતિવિધિઓને પ્રોત્સાહનનો આરોપ લગાવતા કહ્યું કે પાકિસ્તાન કદાચ આંતરરાષ્ટ્રીય પરિણામોના ડરથી આ કામ ગુપ્ત રીતે કરી રહ્યુ છે જ્યારે કેનેડા ખુલ્લેઆમ કરી રહ્યું છે.