ભાવનગર મનપાની તવાઈ, 2 દિવસમાં 82 રખડતા ઢોર પકડયા

Contact News Publisher

ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ હતો તેથી મનપા દ્વારા કામગીરી કરવામાં આવતી હતી પરંતુ થોડા દિવસથી કામગીરી ધીમી પડી ગઈ હતી. તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ ભાવનગર મહાપાલિકાની ટીમ ફરી સક્રીય થઈ છે અને રખડતા ઢોર પકડવાની કામગીરી ઝડપી બનાવી છે, જેના પગલે બે દિવસમાં ૮ર રખડતા ઢોર પકડી ઢોર ડબ્બામાં પુરી દીધા છે. મનપાના કેટલાક અન્ય વિભાગના કર્મચારીઓને ઢોર પકડવાની કામગીરી સોંપાઈ છે.

મહાપાલિકામાં રખડતા ઢોર પકડવાનો કોન્ટ્રાકટ પૂર્ણ થતા કામગીરી ધીમી થઈ ગઈ હતી પરંતુ ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ભાવનગર મહાપાલિકાએ ફરી રખડતા ઢોર પકડવાની કામગીરી તેજ કરી છે. આજે બુધવારે મહાપાલિકાની ટીમે સુભાષનગર, એરપોર્ટ રોડ, મહિલા કોલેજ સર્કલ, આંબાવાડી, ઘોઘા રોડ વગેરે વિસ્તારમાંથી ૪૦ રખડતા ઢોર પકડી ઢોર ડબ્બામાં પુરી દીધા હતાં. ગઈકાલે મંગળવારે રૂપાણી, સરદારનગર, શીવાજી સર્કલ, વાઘાવાડી રોડ વગેરે વિસ્તારમાંથી મહાપાલિકાની ટીમે ૪ર રખડતા ઢોર પકડયા હતાં. મહાપાલિકાની ટીમે બે દિવસમાં ૮ર રખડતા ઢોર પકડયા છે તેથી પશુઓને છુટા મુકી દેતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. હાલ મહાપાલિકા દ્વારા ઢોર છોડાવવાનો દંડ પણ આકરો લેવામાં આવી રહ્યો છે તેથી પશુપાલકોમાં રોષ ફેલાયો છે.

મનપા દ્વારા રખડતા પશુ પકડવાની કામગીરી ઝડપી કરવા માટે મનપાના કેટલાક અન્ય વિભાગના કર્મચારીઓને ઢોર પકડવાની કામગીરી સોંપવામાં આવી છે. ઢોર પકડવાની ટીમમાં સ્ટાફ વધી જતા કામગીરી ઝડપી બની છે અને ફટાફટ રખડતા ઢોર પકડવામાં આવી રહ્યા છે. મહાપાલિકાએ રખડતા ઢોર પકડવા લાલ આંખ કરતા કેટલાક પશુપાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. આગામી દિવસોમાં ઢોર પકડવાની કામગીરી હજુ ઝડપી કરાશે અને વધુમાં વધુ રખડતા પશુ પકડવામાં આવશે તેમ જાણવા મળેલ છે.