‘શરમ નથી આવતી, કેટલા નીચે જશો’ નીતિશ કુમારની ‘ગંદી વાત’ પર PM મોદીનો મોટો હુમલો
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર વિધાનસભામાં યૌન સંબંધ પર પોતાની ટિપ્પણીને લઈને ભારે વિવાદમાં ફસાયા છે. માફી માગ્યા બાદ પણ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) તેમના પર પ્રહારો કરી રહી છે. બિહાર વિધાનસભામાં થયેલા હોબાળા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નીતિશ કુમાર પર નિશાન સાધ્યું છે. મધ્યપ્રદેશમાં એક રેલી દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે શું આવા નેતાઓ માતા અને બહેનોનું ભલું કરી શકે છે? એમપીના ગુનામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ નામ લીધા વગર નીતિશ કુમાર પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, “જે લોકો દેશની વર્તમાન સરકારને ઉથલાવવા માટે વિવિધ રમતો રમી રહેલાં INDIA Allianceના ઝંડા સાથે ફરી રહ્યાં છે, તેઓ વિધાનસભામાં આવી ભાષામાં વાત કરે તેવી કોઇ કલ્પના પણ ન કરી શકે જેમાં માતા-બહેનો પણ હાજર હતી. તેમને આવું કહેતા શરમ નથી આવતી.