આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન રેન્જર્સ દ્વારા ગોળીબાર,આ ગોળીબારમાં સીમા સુરક્ષા દળના એક હેડ કોન્સ્ટેબલ શહીદ
પાડોશી દેશ પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત સામે આવી છે. વાત જાણે એમ છે કે, ગુરુવારે જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લાના રામગઢ સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન રેન્જર્સ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં સીમા સુરક્ષા દળના એક હેડ કોન્સ્ટેબલ શહીદ થયા હતા. આ જવાનને ગોળી વાગી હતી અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
આ તરફ ગુરુવારે વહેલી સવારે કાશ્મીર ઘાટીના શોપિયાંમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. સુરક્ષા દળોએ એન્કાઉન્ટર દરમિયાન TRF આતંકીને ઠાર કર્યો હતો. સુરક્ષા દળોએ સ્થળ પરથી દારૂગોળો જપ્ત કર્યો છે. આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કર્યું છે કે, શોપિયાંના કટોહલાન વિસ્તારમાં એન્કાઉન્ટર થયું હતું. મોરચા પર ફરજ બજાવતા પોલીસ અને સેનાના જવાનોએ એક આતંકીને ઠાર કર્યો હતો. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ મેસર્સ અહેમદ ડાર તરીકે થઈ છે. તે એક અઠવાડિયા પહેલા જ આતંકવાદી સંગઠન TRFમાં જોડાયો હતો. આતંકી શોપિયાના વેશરો વિસ્તારનો રહેવાસી હતો.
સૂત્રોએ એક ખાનગી મીડિયાને પુષ્ટિ આપી છે કે, આ હેડ કોન્સ્ટેબલ સ્નાઈપર હુમલામાં શહીદ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, તેઓને પાકિસ્તાન રેન્જર્સના જવાનોએ નિશાન બનાવ્યા, જેમણે તેમના પર ગોળીબાર કર્યો. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ સીઝફાયર ઉલ્લંઘનનો સ્પષ્ટ મામલો છે. સૂત્રોએ જણાવ્યું કે સ્નાઈપર એટેક દર્શાવે છે કે, પાકિસ્તાન રેન્જર્સ જાણીજોઈને BSFને નિશાન બનાવી રહ્યા છે અને સ્પષ્ટપણે યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરી રહ્યા છે. અગાઉ પણ આવા પ્રયાસો થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
BSF પ્રવક્તાએ કહ્યું, ‘8/9 નવેમ્બર 2023 ની રાત્રે રામગઢ વિસ્તારમાં પાકિસ્તાન રેન્જર્સ દ્વારા અવિચારી ગોળીબાર દરમિયાન જેનો BSF જવાનો દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવ્યો. આ દરમિયાન એક BSF જવાન ઘાયલ થયો અને બાદમાં તેમનું મૃત્યુ થયું. BSF એ પણ ઉશ્કેરણી વગરના ગોળીબારનો જવાબ આપ્યો અને પાકિસ્તાન રેન્જર્સને જડબાતોડ જવાબ આપ્યો એમ બીએસએફે એક અખબારી નિવેદનમાં જણાવ્યું હતું.
છેલ્લા 3 અઠવાડિયામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ફાયરિંગની આ ત્રીજી ઘટના છે. 28 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન રેન્જર્સે ભારે ઉશ્કેરણી વિના ગોળીબાર અને ગોળીબાર કર્યો, જે લગભગ સાત કલાક સુધી ચાલ્યો. ગોળીબાર દરમિયાન BSFના બે જવાન અને એક નાગરિક ઘાયલ થયા હતા. એ જ રીતે 17 ઓક્ટોબરે, અરનિયા સેક્ટરમાં રેન્જર્સ દ્વારા ઉશ્કેરણી વિનાના ગોળીબારમાં બે BSF જવાનો ઘાયલ થયા હતા.