રૂપાલા વિવાદનો અંત ક્યારે? ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠકમાં તૈયાર કરવામાં આવી રણનીતિ
રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની વિવાદીત ટીપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં હજુ પણ રોષ યથાવત હોય તેવું જણાઈ રહ્યું છે. સમાજના અગ્રણીઓ સાથે બેઠકો કરવા છતાં વિવાદનો નિરાકરણ ન આવ્યું હોય તેવું વર્તમાનમાં જણાઈ રહ્યું છે. એક તરફ પરસોત્તમ રૂપાલાએ પોતાનું નામાંકન દાખલ કર્યું છે. તો બીજી તરફ ક્ષત્રિય સમાજના કેટલાક સંગઠનોએ ફરી વિરોધ માટે રણનીતિ તૈયાર કરશે તેવું જણાવી રહ્યાં છે.
‘અમારી રણનીતિ સ્પષ્ટ છે’
ક્ષત્રિય સમાજના આગેવાનોએ પત્રકાર પરિષદ યોજીને વિવાદનો ઉકેલ ન આવ્યો હોવાની વાત કરી છે. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠકમાં વિરોધની રણનીતિ તૈયાર કરાઈ છે, સાથો સાથ તેઓ જણાવ્યું કે, અમે આશાવાદી છીએ માટે અમને હજુ પણ આશા છે કે, ઉમેદવારી રદ કરાશે. આ વેળાએ તેમણે કહ્યું હતું કે, અમારી રણનીતિ સ્પષ્ટ છે, આગામી સમયમાં વિવિધ વિરોધ પ્રદર્શન કરાશે. તેમણે રામનવમીને લઈ પણ વિવિધ કાર્યક્રમો જાહેર કર્યા હતાં.
બેઠક નિષ્ફળ રહી હતી
રાજકોટમાં ભાજપનાં ઉમેદવારનો વિવાદ હજુ પણ યથાવત છે. મુખ્યમંત્રી નિવાસ સ્થાને ગત રોજ ક્ષત્રિય સમાજનાં આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી જે બેઠક નિષ્ફળ રહી હતી. બેઠકમાં સંકલન સમિતિએ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ કરી હતી. તેમજ ટિકિટ રદ્દ નહી થાય તો લડી લેવાની સંકલન સમિતિએ ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે આ બેઠકમાં મુખ્યમંત્રી, સી.આર. પાટીલ અને હર્ષ સંઘવી સાથે મળી હતી. તેમજ માફી આપવા બાબતે બંને પક્ષે ચર્ચા થઈ હતી. ત્યારે મુખ્યમંત્રી તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ કેન્દ્રીય નેતૃત્વ સાથે પરામર્શ કરશે.