ક્ષત્રિય સંકલન કોર કમિટીના સભ્યો ભાજપમાં જોડાશે? ચર્ચાઓ આગેવાન કરણસિંહ ચાવડા જુઓ શું બોલ્યા
રાજકોટ ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની વિવાદિત ટીપ્પણીને લઈ વકરેલા વિવાદમાં ક્ષત્રિય સમાજે નવો માર્ગ અપનાવ્યો છે. ક્ષત્રિયો વિરોધ માટે આવતીકાલથી ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ નીકાળશે. રાજ્યમાં ધાર્મિક સ્થળો પરથી આ રથ નીકળશે. જેની શરૂઆત કચ્છ અને રાજકોટથી થશે.
ક્ષત્રિય સમાજના હોદ્દેદારોનું ખુલાસો
ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના હોદ્દેદાર કરણસિંહ ચાવડાએ ખુલાસો કર્યો છે કે, કોર કમિટીના સભ્યો ભાજપમાં જોડાશે તે સમાચાર સંપૂર્ણ ખોટા છે. સરકાર સાથે બેઠકો કરી રહ્યાંની વાતો ચાલી રહી છે તેમાં કંઈ તથ્ય નથી તેમજ જે બેઠકો થઈ રહી છે જેમાં ભાજપના આગેવાનો હોવાની વાત કરી છે. જૂનાગઢમાં ભાજપ પ્રમુખ કિરીટ પટેલે બેફામ વાણી વિલાસ કર્યો છે. પ્રજા લોક સેવક બનાવવા માટે મત આપે છે, રાજા બનાવવા માટે મત આપતા નથી તેવું પણ જણાવ્યું હતું.
ક્ષત્રિયોએ વિરોધ માટે અપનાવ્યો નવો માર્ગ
અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં માતાના મઢથી ધર્મરથનું પ્રસ્થાન થશે તો રાજકોટમાં આશાપુરા મંદિરથી રથ પ્રસ્થાન કરશે. 25 એપ્રિલના રોજ અંબાજી ખાતે ધજા ચડાવાશે જ્યાં ધજા ચડાવી બનાસકાંઠા અને પાટણ લોકસભામાં ધર્મરથ જશે. અંબાજીથી 1 હજાર ગાડીના કાફલા સાથે આ ધર્મરથ નીકળશે અને બનાસકાંઠા અને પાટણ લોકસભાના ગામડાઓ સુધી ધર્મરથ પહોંચશે. રાત્રી રોકાણ દરમિયાન ભોજન બાદ સભા પણ યોજાશે
આંદોલનને શાંત કરવાના પ્રયાસો
આપને જણાવીએ કે, એક તરફ ક્ષત્રિય સંગઠનો વિરોધની રણનીતિ બનાવી રહ્યાં છે તો બીજી તરફ ભાજપના અગ્રણીઓ દ્વારા આ વિરોધને ખાળવાનો પ્રયાસ કરી રહ્યાં છે. બનાસકાંઠાના ડીસામાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પાટણ અને બનાસકાંઠાના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજી. આ બેઠકમાં પાટણના સાંસદ અને જિલ્લાના આગેવાનો જોડાયા હતાં. તો બેઠકમાં ક્ષત્રિય આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા સતત થઇ રહેલા વિરોધને લઇ ભાજપ ચિંતિત છે. ક્ષત્રિય સમાજનો રોષ ભાજપ વિરોધી મતદાનમાં રૂપાંતરિત ન થાય તે માટે ભાજપના તમામ સ્તરના નેતાઓ કામે લાગ્યા છે. મહત્વનું છે કે ભાજપ સંગઠને રાજ્યમાં તમામ બેઠકો 5 લાખની લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેવામાં ક્ષત્રિય સમાજના વિરોધને લઇ મતો ન તૂટે તે માટે ભાજપ સંગઠન સક્રિય થયું છે.