ભૂકંપની ખુવારીમાંથી કચ્છને બેઠું કરવામાં કેશુભાઇનું યોગદાન અતિમૂલ્ય
ભાજપના ભીષ્મ પિતામહ એવા કેશુભાઇ પટેલનું નિધન થતાં એક બાજુ રાજ્યમાં એક દિવસનો શોક જાહેર કરાયો છે. બીજીબાજુ રાષ્ટ્રપતિથી લઇને વડાપ્રધાન અને સીએમ દ્વારા શ્રદ્ધાજંલિ આપવામાં આવી છે.
કચ્છ સાથે પણ બાપાનો અનોખો અને લાગણી સભર નાતો હતો. વિવિધ યોજનાઓમાં કચ્છને પ્રાધાન્ય આપવાની સાથે ખાસ તો 2001ના ભૂકંપ બાદ કચ્છને ફરી બેઠું કરવા તાબડતોડ વિવિધ નિર્ણયો લીધા હતાં. જેનાથી રાહત અને બચાવ કામગીરીમાં ઝડપ આવી હતી. જોકે ક્યાક ને ક્યાક ભૂકંપ જ કેશુભાઇની સીએમ પદની ખુરશી જવાનું નિમિત બન્યો હતો ! તેમના અવસાન બાદ કચ્છમાં પણ ભાજપના અગ્રણીઓએ શોકની લાગણી અનુભવી હતી. સ્વ. કેશુભાઈ પટેલે પોતાના મુખ્યમંત્રીકાળ દરમ્યાન અનેકવિધ યોજનાઓ હેઠળ કચ્છને પ્રાથમિકતા આપી હતી, તેમના દ્વારા કરાયેલા કચ્છમાં વિકાસકાર્યો કચ્છ માટે હમેશા અતિમૂલ્ય રહ્યા છે.
ગઈકાલે પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું નિધન થતા વડાપ્રધાનના પુર્વ નિર્ધારિત કાર્યક્રમમાં ફેરફાર કરીને કેવડિયાને બદલે તેઓ આજે સવારે સીધા ગાંધીનગર આવી પહોંચ્યા હતા અને કેશુભાઇ પટેલના નિવાસસ્થાને જઇને તેમના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી. તેમણે કેશુભાઇની તસવીરને પ્રણામ કરી શ્રદ્ધાંજલી અર્પી હતી.