કોરોનાથી બચવા કચ્છી મહિલા કચ્છ આવ્યા, પરંતુ કુદરતને જાણે મંજૂર નહોતું
કહેવાય છે કે હરી કરે તે ખરી, કાળથી આજ સુધી કોઈ બચી નથી શક્યું, આખરે ઈશ્વરની ઇચ્છાને મનુષ્યને સ્વીકારવી જ રહી આવો જ એક કરૂણ કિસ્સો મુન્દ્રા મધ્યે સામે આવવા પામ્યો છે, મુંબઈમાં રહેતા કચ્છી મહિલા મહારાષ્ટ્રમાં કોરોનાનો ગ્રાફ વધી રહ્યો હોવાથી મહામારીથી દૂર રહેવા કચ્છના મુન્દ્રા તાલુકાના વડાલામાં સ્થાયી થયા હતા, પરંતુ કુદરતને જાણે મંજૂર નહોતું તે રીતે આ મહામારીને લગતી દરેક પ્રકારની સાવચેતી રાખ્યા છતાં કોરોના મહામારીએ તેમનો ભોગ લીધો હોવાથી સમાજમાં હતાશાની લાગણી ફેલાઈ છે.
આ બાબતે મળતી વિગતો મુજબ ડોમ્બિવલી રહેતા મૂળ કચ્છના સુશીલાબહેનને એક ડિસેમ્બરે કોરોનાનાં લક્ષણો દેખાવા લાગ્યાં હતાં. જોકે ત્રણ ડિસેમ્બરે તેમનું ઑક્સિજન લેવલ નીચે ગયું હોવાથી તેમને ભુજની હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં. પરંતુ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું સાત ડિસેમ્બરની મોડી રાતે મૃત્યુ઼ થયું હતું.
આ બનાવ બાદ વડાલા ગામમાં કડક પગલાં લેવાયાં છે. બહારથી આવતા લોકોએ તાત્કાલિક કોઈના ઘરે મળવા જવાનું નહીં, માસ્ક અને હૅન્ડ સૅનિટાઇઝરનો ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે. સોમવારે ગામમાં સભ્યોની એક બેઠક લેવાશે જેમાં બહારગામથી આવતા લોકોનું ફરજિયાત ટેસ્ટિંગ કરવાની સાથે રિપોર્ટ ન આવે ત્યાં સુધી ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મુકાશે એવો નિર્ણય લઈને બહુમતીથી એને મંજૂર કરાવવામાં આવશે.