કચ્છમાં ચિત્તાને વસાવવા બન્નીના ઘાસિયા મેદાનો ઉત્કૃષ્ટ સ્થળ
ગુજરાતના એશિયાટીક લાયન વિશ્વભરમાં મશહૂર બન્યા છે ત્યારે હવે ભારત સરકારના પ્રયાસથી લુપ્ત થયેલા ચિત્તાનો વસવાટ થાય તે માટે એક પ્રોજેક્ટ મંજૂરીના તબક્કે હતો પરંતુ તેમાં વિલંબ થઇ રહ્યો છે. રાજ્યમાં એવું માનવામાં આવે છે કે ચિત્તા માટેનું હેબિટાટ્સ છેલ્લું કચ્છના બન્નીના રણમાં જોવા મળ્યું હતું, જેને ફરીથી ચિત્તા માટે તૈયાર કરી શકાય તેમ છે.
વન અધિકારીના જણાવ્યા પ્રમાણે ભારતમાં મધ્યપ્રદેશના કુનો-પાલપુર, નૌરાદેહી, તામિલનાડુના મોયાર, રાજસ્થાનના તાલ છાપર, શાહગઢ, ગુજરાતમાં વેળાવદર અને કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તા વસાવી શકાય તેમ છે. ધ વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા એન્ડ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાએ એક રિપોર્ટમાં નોંધ્યું છે કે ચિત્તાને ભારતમાં લાવવા માટે ગુજરાતના કચ્છનો બન્ની વિસ્તાર એક ઉત્તમ જગ્યા છે, જ્યાં ચિત્તાને મોકળું મેદાન મળી રહે તેમ છે. બન્નીમાં એક સમયે ૫૦ ચિત્તા મોજૂદ હતા. રાજ્યના વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ચિત્તાને ઘાસના મેદાન પસંદ પડે છે અને તેના માટે બન્નીના ધાસિયા મેદાન શ્રેષ્ઠ છે. આ ઉપરાંત કાળા ડુંગર વિસ્તારમાં જરખની વસતી સારી છે. હવે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી કેન્દ્રમાં દરખાસ્ત કરે તો કેન્દ્ર સરકાર ચિત્તાને વસાવવા માટે ગુજરાતના કચ્છનો ઉલ્લેખ કરી ભારત બહારથી ચિત્તા લાવી શકે તેમ છે.