કચ્છની ૨૦૦ થી વધુ હાઇસ્કૂલ આચાર્ય વિહોણી
શિક્ષકોની ઘટથી કાયમી પીડાઇ રહેલા કચ્છમાં લાંબા સમયથી ભરતી પ્રક્રિયા ન કરાતાં 203 જેટલી સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળા આચાર્ય વિહોણી હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે. જેના કારણે શાળાના સંચાલન સહિતના પ્રશ્નો પર અસર પડી રહી છે.
શિક્ષણ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લામાં કુલ 183 સરકારી અને 95 ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા કાર્યરત છે, જે પૈકી 183 સરકારી શાળામાંથી માત્ર બેમાં જ આચાર્યની જગ્યા ભરાયેલી છે તો 95 ગ્રાન્ટેડમાંથી 73 શાળામાં આચાર્યની નિમણૂક કરવામાં આવી છે. લાંબા સમયથી ભરતી પ્રક્રિયા હાથ ન ધરવામાં આવતાં જિલ્લાની 181 સરકારી શાળાના આચાર્ય તરીકે શિક્ષકોને ચાર્જ સોંપવામાં આવ્યો છે, જેના કારણે વહીવટી કામોમાં મુશ્કેલી પડી રહી છે, તો આ શિક્ષકોને આચાર્યનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો હોવાથી પોતાની કામગીરી પર પૂરતું ધ્યાન આપી શકતા નથી જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી હોવાનો આક્ષેપ પણ ઊઠી રહ્યો છે.તો જિલ્લાની 95 ગ્રાન્ટેડ પૈકી 22 શાળામાં પણ આચાર્યની જગ્યા ખાલી?છે, જેમાં શિક્ષણ તંત્ર દ્વારા જુલાઇ-2019માં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પરંતુ તેમાં ઉમેદવારોએ નિરસતા દર્શાવતાં 14 જેટલાં આચાર્યની ભરતી કરવામાં આવી હતી. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગવાનભાઇ પ્રજાપતિનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે ભરતી પ્રક્રિયા અટવાઇ છે, પરંતુ તાજેતરમાં ગુજરાત પબ્લિક સ ર્વિસ કમિશન (જી.પી. એસ.સી.) દ્વારા ભરતી અંગે અખબારોમાં જાહેરાત કરવામાં આવી છે જેમાં આગામી 24 જાન્યુઆરીએ પરીક્ષા યોજાય તેવી શકયતા છે.આ ઉપરાંત વર્ગ-3ને પ્રમોશન આપવાની કાર્યવાહી ચાલી રહી છે. જેના કારણે પણ આ ખાલી જગ્યા ભરવામાં રાહતરૂપ બની રહેશે.અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ સેલ્ફ ફાઈનાન્સનો અનુભવ ધરાવતા આચાર્યો-શિક્ષકોની ભરતી કરવા હોઇકોર્ટમાં માંગ કરાઇ હતી, જેના કારણે ભરતી પ્રક્રિયા અટકી ગઇ હતી, પરંતુ હાઇકોર્ટ દ્વારા મનાઇ હુકમ ઊઠી જતાં ભરતી પ્રક્રિયાનો રસ્તો સાફ થઇ ગયો હતો.