કચ્છ મ્યુઝિયમનો ક્ષત્રપ શિલાલેખ : જ્યાં કોઈ કાગળ પર નહિં પણ પથ્થર પર છે ભારતનો ઈતિહાસ
ક્ષત્રપ રાજવંશના સમયમાં લખાયેલ શીલાલેખોમાંથી સૌથી વધારે શીલા લેખ ભુજના કચ્છ મ્યુઝિયમ ખાતે આવેલા છે. અહીં પ્રદર્શનમાં રખાયેલા 10 જેટલાં શીલા લેખ અલગ અલગ સમયે કચ્છમાંથી મળી આવ્યા હતા અને આ શીલાલેખ કચ્છ મ્યુઝિયમને એક વિશેષ સ્થાન અપાવે છે.
કચ્છ મ્યુઝિયમમાં પ્રદર્શનમાં મુકાયેલા આ શિલાલેખ ક્ષત્રપ રાજવંશના સમયના લેખ છે, જે 35 CE થી 405 CE વચ્ચે લખવામાં આવ્યા છે. કચ્છ મ્યુઝિયમમાં આ ક્ષત્રપ રાજવંશના 11 શિલાલેખ આવેલા છે જે ભારતના કોઈ પણ મ્યુઝિયમમાં સૌથી વધારે છે. પશ્ચિમી ક્ષત્રપ રાજવંશનું શાસન ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધી ફેલાયેલો હતો. જ્યારે કે આ શિલાલેખ મહારાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ ભાગોમાંથી મળ્યા હતા.
કચ્છમાં ઈસાની પ્રથમ શતાબ્દીના અંત ભાગમાં કુષાણ સત્તા ક્ષીણ થતાં ક્ષહરાત વંશના શક શાસકોના રાજયનું સુત્રપાત થયું. પરંતુ ક્ષહરાત શકોનો વહેલો અંત આવ્યો અને ત્યાર પછી કર્દમક વંશમાં શકો સંપૂર્ણ કચ્છ સહિત ગુજરાત અને માળવાના સ્વામી થયા. રસમોતિક અથવા ઘસ્મોતિક આ વંશનો સ્થાપક હતો. પરંતુ તે કદાચ કુષાણોનું ખંડીયું સામંત માત્ર હોય, પરંતુ તેનો પુત્ર ચષ્ટન સ્વતંત્ર શાસક હોય તેમ જણાય છે. તેણે પોતાના રાજયની સ્થાપના સાથે પોતાની સ્મૃતિ ચિર રાખવા શક સંવત ચાલુ કર્યો જે આજે આપણો રાષ્ટ્રીય સંવત છે.
સૌભાગ્યે આ કર્દમક શકો કે જેમને ઈરાની પદી સેન્ટ્રેપીનાં સંસ્કૃત સ્વરૂપે ક્ષત્રપ ના નામે ઓળખવામાં આવે છે કચ્છમાંજ સૌથી વધુ તેમના શિલાલેખો મળ્યા છે. આ શિલાલેખોનું મહત્વ ત્યારે જ સમજાય જયારે આપણને ખબર પડે કે આ શિલાલેખો માત્ર ઈતિહાસની ખૂટતી કડી પુરવાર થયા છે એવું નથી પરંતુ આ લેખોએ આપણા દેશના ઈતિહાસમાં નવા અધ્યાયો જોડયા છે.