ગુજરાતની સ્કૂલોમાં શિક્ષકોની ઘટ અને વર્ગખંડમાં ઘટતા શિક્ષણ કાર્યની પરિણામ પર અસર પડીઃ કોંગ્રેસ
ગુજરાતમાં આ વખતે ધોરણ 12 સાયન્સનું પરિણામ સારૂ નહીં આવવાને લઈને કોંગ્રેસે સરકારની આકરી ટીકાઓ કરી છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ રાજ્યની સ્કૂલોમાં પુરતા શિક્ષકો નથી અને વિદ્યાર્થીઓને ગુણવત્તા યુક્ત શિક્ષણ મળતુ નથી. જેના કારણે આ વખતના પરિણામ પર મોટી અસર પડી છે. તે ઉપરાંત JEE અને NEET જેવી પરીક્ષાની તૈયારીઓ કરતાં વિદ્યાર્થીઓ પણ આ વખતે બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ લાવી શક્યા નથી.
શિક્ષકો પાસે શિક્ષણ સિવાયની પ્રવૃત્તિઓ કરાવાય છે
કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ પત્રકારોને જણાવ્યું હતું કે, રાજ્યની શાળાઓમાં લાંબા સમયથી શિક્ષકોની જગ્યાએ ખાલી પડી છે, વર્ગખંડમાં શિક્ષણ કાર્ય ઘટી રહ્યું છે. તે ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા શિક્ષકો પાસે શિક્ષણ સિવાયની પ્રવૃત્તિઓ કરાવાય છે જેના કારણે શિક્ષણ વ્યવસ્થા પર અસરો થઈ રહી છે. આ વખતે ધોરણ 12 સાયન્સના પરિણામે શિક્ષણ વ્યવસ્થામાં રહેલી મોટી ખામીઓની પોલી ખોલી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, પરિણામ ઓછું આવવાના કારણોમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ જવાબદાર છે.તેઓ ટ્રેડિશ્નલ એજ્યુકેશન સિસ્ટમથી દૂર થઈ રહ્યાં છે.
લખવાની આવડત પર ભયંકર ક્ષતિ પહોંચી
તેમણે કહ્યું હતું કે આજે મોટાપાયે સ્પર્ધાત્મક પરીક્ષાઓનું માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે. આજના વિદ્યાર્થીઓને તેમના વાલીઓ IITમાં જ પ્રવેશ અપાવવો છે. મોટાપાયે કોમ્પિટીટીવ એક્ઝામ જેવી કે, JEE અને NEETનું માર્કેટિંગ કરવામાં આવે છે. તમામ પોતાના દીકરા-દીકરીને ડોક્ટર બનાવવા ઈચ્છે છે અથવા IITમાં જ પ્રવેશ મેળવવાની ઈચ્છા ધરાવે છે. જે-તે વિષયનું પાયાનું જ્ઞાન મેળવ્યા સિવાય સીધું જ વિદ્યાર્થીઓને MCQની પ્રેક્ટિસ પર ચડાવી દેવામાં આવે છે, જેથી વિદ્યાર્થીની વિગતવાર મુદ્દાસર લખાણ લખવાની આવડત પર ભયંકર ક્ષતિ પહોંચી છે.