રાજકોટ જેતપુરમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મી દયા સારીયાએ થોડા દિવસ પહેલા આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં આજે ક્ષત્રિય ઠાકોર સેના દ્રારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. મીડિયા સમક્ષ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા મહિલા કોન્સટેબલના વોટ્સએપ ચેટ અંગે તપાસ કરવામાં આવી છે જેમાં આત્મહત્યા પહેલા જેતપૂરમાં જ ફરજ બજાવતા ત્રણ પોલીસકર્મીઓની શંકાસ્પદ ભુમિકા સામે આવી છે. આ ત્રણ પોલીસકર્મીઓ મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કરી તે પહેલા વોટ્સઅપના માધ્યમથી સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે.ક્ષત્રિય ઠાકોર સેના દ્રારા જે વોટ્સએપ ચેટ જાહેર કરવામાં આવી છે તેમાં જેતપૂર પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતા અભયરાજસિંહ જાડેજા ઉર્ફે કુલદિપ,મનદિપસિંહ જાડેજા અને વિપુલ નામના પોલીસ કોન્સટેબલ સાથે વોટ્સએપ ચેટના સ્ક્રિનશોટ્સ સામે આવ્યા છે જેમાં મૃતક પોલીસ કોન્સ્ટેબલ દ્રારા સ્યુસાઇડ પહેલાનો ફોટો મોકલ્યો હતો.ક્ષત્રિય ઠાકોર સમાજ દ્રારા આ સમગ્ર મામલે યોગ્ય અને ન્યાયિક તપાસની માંગ કરી છે.આ મુદ્દે જે પણ જવાબદાર વ્યક્તિ હોય તેની સામે તાત્કાલિક તપાસની માંગ કરી છે.આ કેસમાં પોલીસની કાર્યવાહી પ્રથમથી જ શંકાના દાયરામાં છે.પોલીસ દ્રારા હજુ સુધી આત્મહત્યા પાછળ શું કારણ છે તે અંગે નક્કર કાર્યવાહી કરી નથી હવે જ્યારે આ કેસમાં સ્ક્રિનશોટ્સ સામે આવ્યા છે ત્યારે પોલીસ દ્રારા આ દિશામાં તપાસ થઇ રહી છે.પોલીસે ત્રણેય પોલીસકર્મીઓના નિવેદન લીધા છે આ ઉપરાંત મૃતક મહિલા કોન્સટેબલના ફોનને પણ એફએસએલ માટે મોકલી આપ્યો છે.ત્યારે પોલીસ તપાસ પર સૌની નજર રહેલી છે.અત્યાર સુધી પોલીસ આ કેસમાં કંઇ વિશેષ તપાસ કરી શકી નથી ત્યારે વોટ્સએપ ચેટ સામે આવ્યા બાદ પોલીસ કઇ દિશામાં તપાસ કરશે તે જોવાનું રહ્યું.