ચોગઠ ગામે પતિના ત્રાસથી કંટાળેલી પત્નીએ કર્યો આપઘાત

Contact News Publisher
ભાવનગર : ઉમરાળા તાલુકાના ચોગઠ ગામે પતિની અવાર-નવાર મારઝૂડ અને શારીરિક-માનસિક ત્રાસથી કંટાળેલી પત્નીએ પંખા સાથે લટકી જઈ જીવનનો અંત આણી દીધો હતો. પરિણીતાના આપઘાતને પગલે તેણીની માતાએ દીકરીને મરવા મજબૂર કરનાર તેના જમાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

કરૂણ ઘટના અંગે મળતી વિગત અનુસાર સિહોર શહેરમાં દાદાની વાવ પાછળ, મારવાડીનગરમાં રહેતા મધુબેન જેઠાભાઈ જાદવ (ઉ.વ.૫૬)ની મોટી દીકરી દક્ષાબેનના ૧૪ વર્ષ પૂર્વે ઉમરાળાના ચોગઠ ગામે રહેતો કિશોર કાનજીભાઈ બોરીચા નામના શખ્સ સાથે લગ્ન થયા હોય, લગ્ન જીવન દરમિયાન દક્ષાબેનને તેનો પતિ કિશોર બોરીચા અવાર-નવાર શારીરિક-માનસિક ત્રાસ ગુજાર મારઝૂડ કરતા તેણી ઘણી વખત પિયરમાં રિસામણે આવતા રહેતા હતા. એક સપ્તાહ પૂર્વે પણ પતિએ ઝઘડો કરી માર માર્યો હોય, દક્ષાબેન માતાના ઘરે સિહોર રિસામણે આવ્યા બાદ પતિ અને તેના પરિવારના સભ્યો સમજાવટ કરી તેડી ગયા હતા. દરમિયાનમાં પતિના અસહ્ય ત્રાસ અને મારામારીથી મરવા મજબૂર બનેલા દક્ષાબેનએ ગઈકાલે શનિવારે પોતાના ઘરે સાસરિયામાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જે બનાવ અંગે મૃતકના માતા મધુબેન જાદવે આજે રવિવારે દીકરીના પતિ કિશોર બોરીચા સામે ઉમરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૦૬ અને સીઆરપીસી ૧૭૪ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.