CM ભૂપેન્દ્ર પટેલે મહેસાણાને આપી 109 કરોડના વિકાસકાર્યોની ભેટ, મેગા હેલ્થ ઈવેન્ટમાં વહી દાનની સરવાણી

Contact News Publisher

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેસાણા જિલ્લાના વિસનગર એ.પી.એમ.સી. ગ્રાઉન્ડ ખાતેથી રૂ.109 કરોડના 85 જેટલા વિવિધ વિકાસ પ્રકલ્પોનું ભૂમિપૂજન, ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત આશરે 20 જેટલા વિકાસના કાર્યોનું લોકાર્પણ અને 43 જેટલા વિકાસના નવા પ્રકલ્પોનું ખાતમુર્હુત કરાયું હતું. આ ઉપરાંત વિસનગર તાલુકાના વિવિધ વિભાગના આશરે 16 જેટલા વિકાસના કાર્યોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીની રક્ત તુલા કરવામાં આવી હતી. તેમજ 4000થી વધું લોકો દાતાઓના વિવિધ દાનથી લાભાન્વિત થયા

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષ-2080 ની શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું કે, ગુજરાતમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કર્મઠ માર્ગદર્શન હેઠળ વિકાસનો મજબૂત પાયો નંખાયો જેના ફળ આજે મળી રહ્યા છે. ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં દરેક ક્ષેત્રે હરેક માટે વિકાસનું શ્રેષ્ઠ આયોજન થાય છે મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, રાજ્યના અવિરત વિકાસના કેન્દ્રમાં સામાન્યજનનો સર્વાંગીણ વિકાસ રહ્યો છે અને આ દિશામાં રાજ્ય સરકાર દ્વારા સર્વગ્રાહી વિકાસ માટે સઘન આયોજન કરાયું છે. મુખ્યમંત્રીશ્રીએ આજના અવસરને “વિકાસ ઉત્સવ” ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આજે ગ્રામ્ય સ્તરે પણ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ નિર્માણ પામી છે તેનું કારણ એ છે કે રાજ્ય સરકાર દ્વારા ગામડાં સુધી રસ્તા- વીજળી, પાણીથી માંડીને તમામ સુવિધા પુરી પાડવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ-2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે આજના અમૃતકાળમાં સૌ નાગરિકોને સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો છે ત્યારે વિકસિત ભારત નિર્માણ માટે વિકસિત ગુજરાતના નિર્માણ માટે સૌ સંકલ્પબદ્ધ બને. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અમૃતકાળમાં છેવાડાનો માનવી પણ વિકાસના મુખ્ય પ્રવાહમાં સામેલ થાય અને જરૂરતમંદ તમામ લાભાર્થીઓ સુધી વિકાસ યોજનાના લાભો પહોંચે અને સો ટકા લક્ષપૂર્તિ થાય તેવા સંકલ્પ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પ્રધાનમંત્રીએ ભાઈબીજના દિવસે પ્રસ્થાન કરાવ્યું છે. જેના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં પ્રત્યેક જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે ત્યારે એકપણ લાભાર્થી વિકાસ યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે પ્રયાસરત થવા તેમણે અનુરોધ પણ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સબળ નેતૃત્વમાં ભારત દેશનું વિશ્વભરમાં ગૌરવ વધ્યું છે ત્યારે એક ભારત, શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે સૌ નાગરિકો પ્રતિબદ્ધ બને. મુખ્યમંત્રીએ રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે રાષ્ટ્રચેતનાનો દિપક પ્રત્યેક નાગરિકના દિલમાં પ્રજવલિત થાય તેવો ભાવ પણ વ્યક્ત કર્યો હતો. આઝાદી થી મળેલા સ્વરાજને હવે સુરાજ્યમાં પરિવર્તિત કરવાનું છે અને એ માટે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના કર્મમંત્ર સાથે  વિકસિત ભારતના નિર્માણ માટે સૌને સંકલ્પબદ્ધ બનવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રીના વરદહસ્તે મહેસાણા જિલ્લામાં C.H.C., P.H.C. અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સેવામાં નવીન 62 એમ્બ્યુલન્સ સમર્પિત કરવામાં આવી હતી તથા  રૂ. 9.70 કરોડના આરોગ્ય પ્રકલ્પોનું લોકાર્પણ અને રૂ. 36.20 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગ, સિંચાઇ વિભાગ સહિતના અન્ય વિભાગોમાં રૂ. 61.51 કરોડના કામોનું ભૂમિપૂજન અને રૂ. 1.63 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરાયું હતું. મુખ્યમંત્રીએ મેગા હેલ્થ ઇવેન્ટનો પ્રારંભ પણ કરાવ્યો હતો.

ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ મહેસાણા ખાતે કિશોરીઓને ગર્ભાશયના મુખના કેન્સરની રસી આપવામાં આવી હતી. આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા રૂપિયા 4,51,500/- ના ખર્ચે 301 સગર્ભાઓને/ઓછા વજનવાળી હાઈરીસ્ક ANCને ન્યુટ્રીશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલના પરિવારજનો, તેઓના વૈવાઈ હસમુખ પટેલ, જમાઈ ભૌમિક પટેલ તરફથી CSR ફંડમાંથી રૂ. 30 (ત્રીસ) લાખના ખર્ચે મહેસાણા જિલ્લામાં આરોગ્યલક્ષી સવલતો ઉભી કરાઈ છે. કાર્યક્રમમાં ઓ.એન.જી.સી, મહેસાણા એસેટ તરફથી CSR અંતર્ગત રૂ.17 કરોડના ખર્ચે વિવિધ આરોગ્યલક્ષી સવલતો પૂરી પાડવામાં આવી છે.