રણોત્સવમાં લાખો પ્રવાસીઓના યજમાન બનતા બન્નીમાં અત્યાર સુધી કોરોનાનો એકપણ કેસ નહીં
એક સમયે એશિયાના શ્રેષ્ઠ ઘાસીયા મેદાન તરીકે પ્રખ્યાત ભુજ તાલુકાનો બન્ની પ્રદેશ છેલ્લા દાયકાથી રણોત્સવને કારણે દેશ અને દુનિયામાં પ્રસિદ્ધ થયેલો છે. મુખ્યત્વે માલધારીઓની વસ્તી ધરાવતા આ વિશાળ ભાતીગળ પંથકમાં કોરોના કાળના છ-છ મહિના બાદ પણ સદનસીબે અત્યાર સુધી એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. વિસ્તારની રીતે ગાંધીનગર અને ડાંગ જિલ્લાથી વધુ ક્ષેત્રફળ ધરાવતા અને ચોતરફ રણથી ઘેરાયેલો બન્ની પ્રદેશ પરાપૂર્વથી મહેમાન નવાઝી માટે જાણીતો છે. ધોરડોના રણોત્સવ પછી તો દેશ અને દુનિયાના લાખો પર્યટકોને હસતા મોઢે આવકારે છે, પરંતુ આ જ પ્રદેશના ખડતલ અને સ્વસ્થ લોકોએ કોરોના માટે જાણે કિલ્લે બંધી કરી હોય તેમ આજ સુધી આ વિસ્તારમાં કોરોનાનો એક પણ કેસ નથી.
બન્નીને અડીને જ આવેલા પચ્છમ વિસ્તાર કે જ્યાં ખાવડા, દીનારા, ઝુણા જેવા ગામો આવેલા છે, ત્યાં પણ મહિનાના પ્રથમ સપ્તાહ સુધી એકપણ કેસ નહોતો. તારીખ 9ના પ્રથમ કેસ મિયાણા ગામમાં નોંધાયો છે. તાલુકા હેલ્થ ઓફિસર મનોજ પરમારે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં સંપૂર્ણ સ્ક્રીનીંગ કરાયું છે. બુધવારે કંપનીમાં ટેસ્ટ કરાતા પ્રથમ કોરોના પોઝિટિવ કેસ આવ્યો છે.
શા માટે કોરોના ઘૂસી નથી શક્યો ?
- વિશાળ વિસ્તાર, વસ્તી પાંખી
માલધારીઓના પરિવારજનો શહેરથી અળગા જ રહે છે.
મહિલાઓ મર્યાદાને કારણે બહાર નથી નીકળતી. - માલધારી પ્રજા ખડતલ હોવાથી કુદરતી રીતે જ રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
તે સિવાય ત્યાના લોકોમાં રહેણી કરણી માં સમય શિસ્તતા, સાથે સાથે તે વિસ્તારની વનસ્પતિ, મધ, ગુંદ અને તેના ફળ જેવાકે કોઠીબા અને સૌથી મહત્વનું કે તે લોકો શહેરમાં કહેવાતું મિનરલ વોટર નહીં પણ સંપૂર્ણ કુદરતી નૈસર્ગિક પાણી પીવે છે, તેઓનું સંપૂર્ણ શુધ્ધ ઘી અને દૂધ તેઓના રોગ પ્રતિકારક શક્તિ પાછળનું મહત્વનું પરિબળ છે.