કોરોનાના કહેર વચ્ચે કચ્છમાં રૂટિન રસીકરણમાં ઘટાડો નોંધાયો
માર્ચ 2020થી ભારતમાં કોવિડ-19ની મહામારીએ દસ્તક દીધા છે, ત્યારથી કચ્છમાં બાળકોના રૂટિન રસીકરણમાં દેખાતા ઘટાડા સામે તબીબોએ ચિંતા વ્યક્ત કરી છે. જ્યારથી લોકડાઉન અને તે પછી શરૂ થયેલી અનલોક પ્રક્રિયા દરમ્યાન કોવિડ-19 પેન્ડેમિકના લીધે સંક્રમણ વધુને વધુ વ્યાપક બની રહ્યું છે જે ચિંતાજનક છે.
આ લોકડાઉનના સમયગાળાથી કચ્છમાં બાળકમાં રૂટિન રસીકરણના પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે. લોકો રસી મૂકાવતા ડરે છે અથવા તો રસી પ્રત્યેની એક અણગમાની સ્થિતિ પ્રવર્તતી હોય તેવું લાગે છે. યા તો માતા-પિતા મૂંઝવણમાં છે કે રસી મૂકાવવી કે નહીં ? આ સમયમાં તેમના મનમાં એક ભય અથવા તો અનિશ્ચિતતાની લાગણી ફરી વળી હોય તેવું લાગે છે.હકીકતમાં રસીકરણ તમામ કેન્દ્રો પર ચાલુ છે અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં પણ રસી યોગ્ય રીતે મૂકવામાં આવે જ છે. માટે બાળરોગ નિષ્ણાત તરીકે તબીબોની ફરજ બને છે કે યોગ્ય સમયે બાળકને રસી મુકાવવી અને બાળકને સુરક્ષિત રાખવું જરૂરી છે. રસીકરણ પ્રત્યે વાલીઓની ઉદાસીનતા રખે ને ભારી ન પડે તે માટે જો રસીકરણ બાકી રહી ગયું હોય તે તાત્કાલિક મોડું પણ કરાવવું જરૂરી છે, અન્યથા જે રોગોની રસીકરણથી રોકથામ શક્ય છે તેવા રોગો ફરીથી માથું ન ઊંચકે અને ભૂલની સજા બાળકને ન ભોગવવી પડે તે જરૂરી છે.