ભૂકંપ પછી તારાજ થયેલા કચ્છના ખેડૂતોએ આખા સૌરાષ્ટ્રને હરાવી દીધું
કચ્છનું રણ હવે રણ પ્રદેશ નથી રહ્યો. ત્યાં લચી પડતાં બગીચાઓ ઊભા થયા છે. 20 વર્ષ પહેલા થયેલા ધરતીકંપ પછી કચ્છમાં ફળોથી લચી પડતાં વૃક્ષોની ખેતી થવા લાગી છે કે તે બધાને આશ્ચર્ય પમાડે છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધું ફળોના બગીચાઓ છે. સમગ્ર ગુજરાતમાં કચ્છ એક માત્ર એવો વિસ્તાર છે કે જ્યાં સૌથી વધું ફળનું ઉત્પાદન થાય છે. આમ કચ્છ હવે રણનો પ્રદેશ રહ્યો નથી. તે કુદરતી હરીયાળીથી ભરેલો પ્રદેશ બની ગયો છે. તે પણ ગુજરાતમાં સૌથી વધુ ફળ પકવતો વિસ્તાર બની ગયો છે. આ સિદ્ધિ માટે કૃષિ અને પર્યાવરણ નિષ્ણાંતો માટે સૌથી મોટું આશ્ચર્ય છે.
કચ્છમાં 18 હજાર હેક્ટર એટલે કે 45 હજાર એકરમાં ખારેકનું વાવેતર કરાયું છે. ત્યારે ખારેકનું વેચાણ કરતા વેપારીઓના અંદાજ મુજબ પોણા બે લાખ મેટ્રીક ટન જેટલું ઉત્પાદન થવાની શક્યતા છે અને કચ્છી મેવા તરીકે જાણીતી ખારેક આશરે સાડા ત્રણસો કરોડનો કારોબાર કરી આપશે.
ગુજરાત સરકારે 2019-20ના જાહેર કરેલાં આંકડાઓ મુજબ કચ્છમાં 56761 હેક્ટર વિસ્તારમાં ફળો ઉગાડવામાં આવ્યા છે તે રાજ્યના કોઈ પણ જિલ્લા કરતાં વધું છે. આ વર્ષે વાવેતર વધ્યું છે અને 10 લાખ ટન ઉત્પાદન થાય એવી ધારણા છે. આ બન્ને બાબતોમાં કચ્છ બીજા વિસ્તારો કરતાં આગળ નિકળી ગયો છે. કચ્છના ખેડૂતોએ મોટી સિદ્ધી મેળવી છે. સૌથી મોટી વાત તો એ છે કે, આખા સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓ જેટલા ફળ પકવે છે એટલા ફળ એકલું કચ્છ પકવે છે. કચ્છમાં 10 લાખ અને આખા સૌરાષ્ટ્રમાં 10 લાખ ટન ફળ પાકે છે. આમ સૌરાષ્ટ્ર આખાને કચ્છના ખેડૂતોએ હરાવી દીધું છે.