કચ્છમાં કોરોનાની વસમી વરસી : લોકો ગાઇડલાઇન ભૂલ્યા અને કોરોનાના કેસો વધ્યા
કચ્છમાં પ્રથમ કેસ તા.21-3-20ના લખપત તાલુકાના આશાલડીમાં આવ્યા બાદ ધીમેધીમે કોરોનાનો પંજો વધુ વિસ્તરતાં કચ્છમાં હોટેલ, રેસ્ટોરેન્ટ, લારી ગલ્લા પર રોક લગાવી દેવાઇ હતી. તા.22-3-20થી કચ્છ સહિત અન્ય અમુક જિલ્લામાં લોકડાઉન તો તા.23-3-20થી સમગ્ર રાજ્યમાં લોકડાઉન અમલી બનાવાયું હતું.
લોકડાઉનમાં એક તબક્કે લોકોમાં કોરોનાનો હાઉ ઘર કરી જતાં ઘરમાં પૂરાયેલા લોકો માનસિક રોગનો ભોગ બન્યા હતા. તો વળી ગોઝારા કોરોનાના કારણે લોકોના ધંધા-રોજગર પડી ભાંગ્યા હતા. ત્યારબાદ પરિસ્થિતિ થાળે પડતા મળેલી છૂટછાટ વચ્ચે લોકો કોરોનાને ભૂલી ગાઇડલાઇન પણ ભૂલી ગયા છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેર આવતાં જ કેસો વધી રહ્યા છે. કચ્છમાં પણ હવે કોરોનાનો આંક ડબલ ડિજિટમાં પહોંચી ગયો છે ત્યારે ન માત્ર તંત્રના પ્રયાસોથી કોરોનાને મ્હાત નહીં આપી શકાય પરંતુ ફરજિયાત માસ્ક, સામાજિક અંતર સાથે લોકોના સહિયારા પ્રયાસોથી મહામારી સામેનો જંગ જીતી શકાશે.
શરૂઆતમાં આરોગ્ય વિભાગ અને પોલીસ પ્રશાસન સાથે મળી જ્યાં કોરોના કેસ આવ્યો હોય તે વિસ્તાર સીલ કરી, બફર ઝોન પાંચ કિ.મી. અને કન્ટેન્ટમેન્ટ ઝોન ત્રણ કિમી સુધી જાહેર કરી આઠ દિવસ સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવતો હતો. લખપતના આશાલડીમાં બફર ઝોન બાદ માધાપરમાં એક સોની વેપારીના કોરોનાથી મોત બાદ માધાપરના અમુક વિસ્તારથી લઇને ભુજમાં આર.ટી.ઓ. સુધી 5 કિ.મી. વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો હતો. હરકતમાં આવેલા તંત્રની જડતાથી આર.ટી.ઓ.માં રહેતા લોકોનો ભુજ તરફનો રસ્તો બંધ કરાતાં હજારો લોકોને 5 કિ.મી. માધાપરના યક્ષ મંદિર કે જયાં કોરોના દર્દીઓને કવોરેન્ટાઇન કરાતા હતા ત્યાંથી થઇને ભુજ આવવું પડતું હતું.
ડિઝાસ્ટર મામલતદાર સી.આર. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી સામેની લડાઇમાં જયારથી કોરોનાની સારવાર ચાલુ થઇ ત્યારથી લઇને અત્યાર સુધી જિલ્લામાં અંદાજિત 2220 સ્થળોએ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.