સોલંકીપુરામાં ૫ માસ પહેલા પ્રભુતામાં પગલાં પાડનાર પરિણીતાનો આપઘાત
દહેગામ નજીક સોલંકીપુરામાં રહેતી એક પરણીતાએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. પરણીતાએ દરવાજો ન ખોલતા પરિવારે દિવાલમાં બાકોરું પાડીને રૃમમાં જોતા પરણીતા મૃત હાલતમાં મળી આવી હતી. રિસાઈને પિયર ગયેલી પરણીતા હજુ ગત ૩૦ તારીખે જ સાસરીમાં પરત આવી હતી. ત્યારે પતિની ગેરહાજરીમાં આપઘાત કેમ કર્યો તેનું કારણ જાણવા પોલીસે તપાસનો દોર શરુ કર્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર દહેગામ નજીક સોલંકીપુરા પાસે ખેતરમાં બનાવેલા મકાનમાં રહેતાં કિશનભાઇ ડોડીયાના પત્ની મનહરબા (ઉંમર વર્ષ ૧૯) એ કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી છે. હજી પાંચ મહિના પહેલા જ લગ્ન કરીને આવેલા મનહરબાને શરૃઆતમાં મંગળસૂત્રને લઈને પતિ સાસરીયા સાથે તકરાર થઈ હતી. એકાદ મહિના પહેલા તેઓ રિસાઈને પિયર જતા રહ્યા હતા. પતિ કિશન નોકરી શરૃ કરે પછી જ પરત આવવાની જીદ હોવાથી કિશને નોકરી શરૃ કરી હતી. જેને પગલે ગત ૩૦ તારીખના મનહરબા પોતાની સાસરીમાં પરત આવી ગયા હતા. દરમિયાન ગત રાત્રે કિશન મિત્રો સાથે પિક્ચર જોવા ગયો હતો જ્યાંથી તે પરત ફર્યો ત્યારે દરવાજો ખખડાવ્યો છતાં પત્ની મનહરબા દરવાજો ન ખોલતા તે બહાર જ સુઈ ગયો હતો.
બાદમાં તે સવારે રાબેતા મુજબ નોકરી જતો રહ્યો હતો. મોડું થવા છતાં મનહરબા ન દેખાતા પરિવારજનો દ્વારા દરવાજો ખટખટાવવામાં આવ્યો હતો તેમ છતાં કોઈ પ્રત્યે ઉત્તર ન મળતા કાંઈ અજુગતું થયું હોવાની આશંકાના આધારે પરિવારજનો દ્વારા દિવાલમાં બાકોરું પાડીને જોતાં, મનહર બા ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.
12 thoughts on “સોલંકીપુરામાં ૫ માસ પહેલા પ્રભુતામાં પગલાં પાડનાર પરિણીતાનો આપઘાત”
Comments are closed.