મણિપુરમાં ફરી હિંસા, ઈમ્ફાલમાં 5 ઘરો સળગાવાયા, સુરક્ષા કર્મીઓના હથિયારોની લૂંટ

Contact News Publisher

મણિપુરની રાજધાની ઈમ્ફારના ન્યૂ લામ્બુલેન વિસ્તારમાં આજે અજાણ્યા હુમલાખોરોએ 5 ઘરોને સળગાવી દેવાનો મામલો સામે આવ્યો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો અને આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ આગ પર કાબુ મેળવી લીધો છે.

ભીડને ખદેડવા પોલીસે ટીચર ગેસના સેલ છોડ્યા

ઘટના બન્યા બાદ રોષે ભરાયેલા લોકો તુરંત વિસ્તારમાં એકઠા થઈ ગયા હતા. તેઓએ અધિકારી પર આગ લગાવનારા 2 લોકોની ઓળખ નહીં કરવાનો આરોપ લગાવ્યો છે. ત્યારબાદ હંગામો શરૂ કરી દીધા પોલીસે કાર્યવાહી કરવી પડી હતી, જેમાં સુરક્ષા દળોએ ભીડને ખદેડવા ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા.

હુમલાકોરોએ સુરક્ષા કર્મચારીઓના હથિયારો લૂંટ્યા

અન્ય એક ઘટનામાં પોલીસને ટાંકીને મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે કે, અજાણ્યા હુમલાખોરોએ સુરક્ષા કર્મચારીઓના હથિયારો લૂંટી લીધા છે. આજે રાજધાની ઈમ્ફાલના પશ્ચિમ જિલ્લાના સગોલબંધ બિજોય ગોવિંદામાં પૂર્વ આરોગ્ય નિયામક કે.રાજોના આવાસ પરના સુરક્ષા કર્મચારીઓના ત્રણ હથિયારો લૂંટી લેવાયા છે. લૂંટેલા હથિયારોમાં 2 એકે સિરિઝની રાયફલ અને એક કાર્બાઈન સામેલ છે. પોલીસે ગુનેગારોને પકડવા અને લૂંટેલા હથિયારો જપ્ત કરવા વ્યાપકપણે શોધખોળ અભિયાન હાથ ધર્યું છે.

6500થી વધુ પોલીસ કેસ નોંધાયા

ઉલ્લેખનિય છે કે, કુકી અને મૈતેઈ સમુદાય વચ્ચે ભડકેલી હિંસાથી માત્ર મણિપુરમાં જ નહીં આખા દેશમાં ખળભળાટ મચ્યો છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 150થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 50 હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો ઘણા લોકો બેઘર થયા હોવાથી પડોશી રાજ્યમાં આશ્રય લેવા મજબુર બન્યા છે. હિંસા મામલે અત્યાર સુધીમાં 6500થી વધુ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

અગાઉ મણિપુરમાં 2 મહિલાઓને નિર્વસ્ત્ર કરી પરેડ કરાવાઈ હતી

ઉલ્લેખનિય છે કે, જુલાઈમાં મણિપુરમાં 2 મહિલાઓને નિર્વસ્ત્ર કરી પરેડ કરાવવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ આ મામલે દેશભરમાં રોષ ભભુક્યો હતો. આ ઘટના 4 મેએ બની હતી. 1000 સશસ્ત્ર હુમલાખોરોએ કાંગપોકલી જિલ્લાના બી ફાઈનોમ ગામ પર હુમલો કર્યો… ત્યારે હુમલાના ડરથી કૂકી સમાજના 2 પુરુષ અને 3 મહિલાઓ જંગલમાં જઈને છુપાયા, પણ તેમને હુમલાખોરોએ પકડી લીધા હતા. ત્યારબાદ તેમને નોનપોક સેકમાઈ પોલીસે છોડાવ્યા હતા અને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, પરંતુ ભીડ તેમને પોલીસ પાસેથી છિનવી લીધા હતા. 56 વર્ષના વ્યક્તિની ત્યાં જ હત્યા કરી દેવામાં આવી અને મહિલાઓને નિવસ્ત્ર કરી પરેડ કરાવાઈ હતી અને યુવતી પર જાહેરમાં સામુહિક દુષ્કર્મ કરાયું… તેના 19 વર્ષના ભાઈએ તેની બહેનને બચાવવાનો પ્રયાસ કર્યો, તો તેની પણ હત્યા કરી દેવાઈ… બાદમાં ત્રણેય મહિલાઓ કોઈક રીતે જીવ બચાવી શકી.

શું છે મણિપુર વિવાદ ?

મણિપુરમાં અનુસૂચિત જનજાતિ (એસટી)નો દરજ્જો આપવાની મેઈતી સમુદાયની માંગના વિરોધમાં ત્રીજી મેએ પર્વતીય જિલ્લાઓમાં આદિવાસી એકજુટતા માર્ચનું આયોજન કરાયા બાદ હિંસક ઘટનાઓ શરૂ થઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં હિંસામાં ઓછામાં ઓછા 152 લોકોના મોત થયા છે. મણિપુરમાં મેઈતી સમુદાયની 53 ટકા વસ્તી છે અને તેઓ મુખ્યરૂપે ઈમ્ફાલ ખીણમાં રહે છે, જ્યારે નગા અને કુકી જેવા આદિવાસી સમુદાયોની વસ્તી 40 ટકા છે અને તેઓ મુખ્યત્વે પર્વતીય જિલ્લાઓમાં રહે છે.