કેજરીવાલના સરકારી બંગલા પર કરોડના ખર્ચની તપાસ કરશે CBI, કેસ દાખલ કર્યો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના બંગલાના રિનોવેશન મામલે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ કેસ નોંધ્યો છે. હવે સીબીઆઈ આ કેસની તપાસ કરશે. અરવિંદ કેજરીવાલના બંગલાના રિનોવેશનને લઈને પણ ઘણો વિવાદ થયો હતો. જે બાદ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે સીબીઆઈએ આને લઈને કેસ નોંધ્યો છે.
દિલ્હીમાં ભાજપ અને કોંગ્રેસ જેવી મોટી પાર્ટીઓ આરોપ લગાવી રહી છે કે સીએમ કેજરીવાલના બંગલાના રિનોવેશન પાછળ 45 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા. આ પાર્ટીઓ દાવો કરી રહી છે કે રિનોવેશન દરમિયાન લાખો રૂપિયાના પડદા અને માર્બલ લગાવવામાં આવ્યા હતા. હવે આ કેસમાં સીબીઆઈએ કેસ નોંધ્યો છે ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે આનાથી દિલ્હીના મુખ્યમંત્રીની મુશ્કેલીઓ વધી શકે છે.
ભાજપ અને કોંગ્રેસે એવો પણ આરોપ લગાવ્યો હતો કે 6 ફ્લેગ સ્ટાફ રોડ સ્થિત દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના ઘરનું રિનોવેશનનું કામ એવા સમયે કરવામાં આવ્યું હતું જ્યારે દિલ્હી કોરોના મહામારીથી પીડિત છે. બંગલાને નવી રીતે કાર્યરત કરવા માટે નાણાકીય નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા હતા. રાજકીય પક્ષોએ આરોપ લગાવ્યો હતો કે નવીનીકરણ દરમિયાન જારી કરાયેલા ટેન્ડરમાં ગડબડી કરવામાં આવી હતી.