અંબાજી મંદિરના મોહનથાળમાં હવે ભેળસેળિયું ઘી વાપરવા માંડ્યા… ભાદરવી પૂનમના મેળા વખતે લીધેલા ઘીનાં રેન્ડમ સેમ્પલ ફેઇલ

Contact News Publisher

યાત્રાધામ અંબાજીમાં મોહનથાળ બનાવતી મોહિની કેટરર્સ એજન્સીના ઘીનાં સેમ્પલ ફેઇલ થયાં છે. અંબાજીમાંથી ફૂડ વિભાગે ઘીનાં સેમ્પલ લીધા હતા, જે ફેઇલ થયાં છે. ફૂડ વિભાગે ભાદરવી પૂનમ પહેલાં 180 ઘીના ડબ્બા સીઝ કર્યા હતા. ત્યારે ઘીનાં સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ રિપોર્ટ આવતાં એ સેમ્પલો ફેઇલ થયાં છે. મોહિની કેટરર્સ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બનાવે છે અને એમાં ઘીનો ઉપયોગ થતો હોય છે. ત્યારે ફૂડ વિભાગે ઘીના ડબ્બાઓનું સેમ્પલ લેતાં એનો રિપોર્ટ ફેઇલ સાબિત થયો છે. 7 દિવસ ચાલેલા મહામેળામાં 45 લાખ લોકોએ માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી, જેમાં મંદિરને 4 કરોડ 61 લાખની પ્રસાદની આવક થઈ હતી.

ભેળસેળવાળું ઘી વાપર્યું હોવાનું સામે આવ્યું
અંબાજી મંદિરના પ્રસાદ- મોહનથાળમાં વપરાયેલા ઘીના નમૂના ફેઇલ નીકળ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લીધેલા નમૂનાઓમાં ભેળસેળ હોવાનુ સામે આવ્યું છે. મોહનથાળ બનાવવા માટે શુદ્ધ ઘીની જગ્યાએ ભેળસેળવાળું ઘી વાપર્યું હોવાનું સામે આવ્યું છે. મોહનથાળના ઘીના નમૂના ફેઇલ નીકળતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 15 કિલોના 200 જેટલા ઘીના ડબ્બા ફેઇલ કર્યા છે. જિલ્લા કલેક્ટરે મંદિરમાં પ્રસાદ બનાવતા કોન્ટ્રેક્ટરને પણ બ્લેક લિસ્ટ કરાયો છે

મોહિની કેટરર્સ અંબાજી મંદિરના મોહનથાળનો પ્રસાદ બનાવે છે. 15 કિલોનો એક ડબ્બો એટલે કુલ 3000 કિલો ઘી લેબોરેટરી પરીક્ષણમાં ફેઇલ નીકળ્યું. આ વિશે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે ભાદરવી પૂનમના મેળા દરમિયાન મોટા પ્રમાણમાં પ્રસાદ બનાવવાનું કામ હોય છે, જેથી મોટી માાત્રામાં પ્રસાદ માટે ઘીનો વપરાશ થાય છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા 28 ઓગસ્ટના રોજ ઘીનું સેમ્પલ લેવાયું હતું અને એ હવે ફેલ નીકળ્યું છે. આ આખો જથ્થો અમે સીલ કરી લીધો હતો. આ જથ્થામાંથી કોઈપણ ઘી અમે વાપરવા દીધું નથી. આ બાદ અમે બનાસ ડેરીમાં વાત કરીને ઘીના જથ્થાની વ્યવસ્થા કરી હતી. આખા મેળા દરમિયાન જે પણ ઘી વપરાયું છે, જે પણ વસ્તુઓ વપરાઈ છે એ ઉચ્ચ ગુણવત્તાવાળી છે. નિયમ અનુસાર, ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ એક્શન લેશે. આ જથ્થા પર લેબલ અમૂલનું હતું. એમાં રાજસ્થાનની સરસ ડેરીનો પણ જથ્થો હતો. 15 તારીખે જે વધારાનાં સેમ્પલ લેવાયાં છે એનો રિપોર્ટ હજી આવવાનો બાકી છે.