દેશનાં 80 કરોડ લોકોને વધુ 5 વર્ષ સુધી મળશે આ ફાયદો, PM મોદીએ છત્તીસગઢમાં કર્યું મોટું એલાન

Contact News Publisher

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢ પહોંચ્યા. દુર્ગ જિલ્લામાં જનસભાને સંબોધિત કરતાં સમયે PM મોદીએ એલાન કર્યું કે મફતમાં રાશન યોજના PMGKAYને 5 વર્ષ વધારવામાં આવશે. પ્રધાનમંત્રીની આ ઘોષણાથી દેશનાં આશરે 80 કરોડથી વધારે લોકોને લાભ મળશે. તેમણે કોંગ્રેસ પર આરોપ મૂક્યો કે તે ગરીબોનાં હકનાં પૈસા લૂંટીને ખાય છે.

PM મોદીએ કહ્યું કે,” મેં નિશ્ચય કરી લીધો છે કે દેશનાં 80 કરોડ ગરીબોને મફતમાં રાશન આપતી યોજનાને ભાજપ સરકાર હવે વધુ 5 વર્ષો માટે વધારશે. તમારા પ્રેમ અને આશીર્વાદે મને હંમેશા પવિત્ર નિર્ણય લેવાની શક્તિ આપે છે.” કોંગ્રેસ પર નિશાન સાધતાં પીએમ મોદીએ કહ્યું કે, ” કોંગ્રેસે ગરીબને છેતર્યા સિવાય કંઈ નથી કર્યું. કોંગ્રેસ ક્યારેય પણ ગરીબોની કદર નથી કરતી. તેથી જ્યાં સુધી કોંગ્રેસ કેન્દ્ર સરકારમાં રહી તે ગરીબોનાં હકનાં પૈસા લૂંટીને ખાતી રહી અને પોતાના નેતાઓની તિજોરી ભરતી રહી.

PM મોદીએ કહ્યું “ગરીબની ચિંતા કરવું એ મારું જીવનધર્મ છે.. જ્યારે કોરોનાનો સંકટ આવ્યો ત્યારે સૌથી મોટી ચિંતા હતી કે આપણાં છોકરાઓને શું ખવડાવશું? કોઈપણ માતાપિતા પોતાના બાળકોને ભૂખ્યા નથી જોઈ શકતાં. કોરોના મહામારીમાં બધું ઠપ હતું ત્યારે મેં નક્કી કર્યું કે કોઈપણ ગરીબને હું ભૂખ્યો સૂવા નહીં દઉં. તેથી ભાજપ સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરી. જે ડિસેમ્બરમાં સમાપ્ત થાય છે. પણ તમારો આ પુત્ર ગરીબી જીવીને આવ્યો છે. તમારા આ પુત્રએ નક્કી કરી લીધું છે કે દેશનાં 80 કરોડ ગરીબોને મફતમાં અન્ન આપનારી યોજનાને વધુ 5 વર્ષો માટે વધારશે.”

પીએમ મોદીએ કહ્યું કે તેમણે મહાદેવનું નામ પણ છોડ્યું નથી, બે દિવસ પહેલા જ રાયપુરમાં એક મોટી કાર્યવાહી થઈ હતી. લોકો કહી રહ્યા છે કે આ પૈસા જુગારીઓના છે જે તેમણે છત્તીસગઢના યુવાનો પાસેથી લૂંટીને ભેગા કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓ આ લૂંટેલા પૈસાથી ઘર ભરી રહ્યા છે.\

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે મીડિયામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનો તાર ક્યાં જઈ રહ્યા છે તે ખબર નથી. છત્તીસગઢના લોકો પણ આ વાત નથી જાણતા. અહીંની કોંગ્રેસ પાર્ટીની સરકારના મુખ્યમંત્રીએ જણાવવું જોઈએ કે ભ્રષ્ટાચારીઓ સાથે તેમના સંબંધો શું છે. તેમણે કહ્યું કે આ કોંગ્રેસના લોકો દિવસ-રાત મોદીને ગાળો આપે છે પરંતુ અહીંના મુખ્યમંત્રી હવે દેશની તપાસ એજન્સી અને સુરક્ષા દળો પર બેફામ આરોપો લગાવી રહી છે. મોદી ગાળોથી ડરતો નથી. છત્તીસગઢમાં લૂંટફાટ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.