અમદાવાદીઓને રાહત: સરકારી કામકાજ માટે નહીં ખાવા પડે ધક્કા, સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લા રહેશે સિવિક સેન્ટર્સ
અમદાવાદ શહેરમાં આવેલ નાગરિક સુવિધા કેન્દ્રને લઈ એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, શહેરના તમામ નાગરિક સુવિધા કેન્દ્ર હવે સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. વિગતો મુજબ અમદાવાદ કોર્પોરેશનની 7 ઝોનલ ઑફિસ સહિત વિવિધ વિસ્તારોમાં 58 સિવિક સેન્ટરો આવેલા છે. અહીં નાગરિકોને પ્રોપર્ટી ટેક્સ ભરવા, જન્મ-મરણ સહિતના સર્ટિફિકેટ મેળવવામાં મુશ્કેલી ન સર્જાય તે માટે સુવિધા કેન્દ્રનો સમય વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મેટ્રો સિટી અમદાવાદમાં નાગરિક સુવિધા કેન્દ્રો એટલે કે સિવિક સેન્ટરો સાંજે સાડા ચાર વાગ્યા પછી બંધ થતા હતા. જેને લઈ નાગરિકોની અનેક ફરિયાદો અમદાવાદ મહાનગરપાલિકા સુધી પહોંચતી ન હતી. આ તરફ હવે જનસુખાકારી માટે તંત્ર દ્વારા નાગરિક સુવિધા કેન્દ્ર સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે તેના બોર્ડ લગાવવાના પણ આદેશ કરાયા છે.