રાજ્યમાં ઠંડીનો ચમકારો રહેશે યથાવત, જાણો આજે ક્યાં કેટલું તાપમાન
થોડાક સમયનાં વિરામ બાદ ફરી રાજ્યમાં ફરી લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. આજે વહેલી સવારથી અમદાવાદ સહિત રાજ્યભરમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમનાં પવન પૂંકાવાનું શરૂ થતા લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો.
આ સમગ્ર મામલે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. તેમજ 3 દિવસ તાપમાન યથાવત રહેશે. જ્યારે 3 દિવસ બાદ તાપમાનમાં સામાન્ય વધારો થવાની શક્યતા છે. ત્યારે હાલ 24 કલાકમાં તાપમાનમાં આવેલા ઘટાડામાં ઉત્તરના પવનો ફૂંકાતા ઘટાડો આવ્યો છે. જે પવનની દિશા 3 દિવસ બાદ પૂર્વનાં પવનો ફૂંકાશે. જેનાં કારણે તાપમાન વધશે. બે દિવસ સુધી લોકોને ઠંડીનો અહેસાસ થશે. તો બપોરે ગરમીનો પણ અનુભવ લોકો કરી શકે છે.
22 ફેબ્રુઆરીએ નલિયામાં 17 ડિગ્રી તાપમાન હતું કે આજે 8.8° નોંધાયું
રાજ્યના લઘુતમ તાપમાનમાં મોટો ઘટાડો આવતા ફરી ઠંડી અનુભવાઈ છે. જે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાતાવરણ નોંધાયું. જેમાં રાજ્યમાં 22 ફેબ્રુઆરી સામે આજે 5 ડિગ્રી કરતા વધુ તાપમાનમાં ઘટાડો નોંધાયો. 22 ફેબ્રુઆરીએ નલિયામાં 17 ડિગ્રી તાપમાન હતું કે આજે 8.8° નોંધાયું . જ્યારે અમદાવાદમાં ૧૯.૭ ડિગ્રી તાપમાન હતું જે આજે 14 ડિગ્રી નોંધાયું . તો ગાંધીનગરમાં ૧૯.૨ ડિગ્રી તાપમાન સામે આજે 14 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજકોટમાં 19.6 ડિગ્રી તાપમાન હતું જે આજે 12.2 ડિગ્રી નોંધાયું. ડીસામાં પણ 17.5 ડિગ્રી તાપમાન હતું જે ૧૪ ડિગ્રી નોંધાયું. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જે તાપમાનમાં ઘટાડો આવતા લોકોને ઠંડીનો અહેસાસ થયો.
બરફવર્ષા બાદ તંત્ર દ્વારા રસ્તાઓ સાફ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ
જમ્મુ કાશ્મીરમાં છેલ્લા એક સપ્તાહથી બરફવર્ષને લઈ અનેક રસ્તાઓ બ્લોક છે. જમ્મુથી લઈ પૂંછ અને ગુલમર્ગ સુધી ભારે બરફવર્ષાને લઈ પરિવહન સેવા પ્રભાવિત છે. પૂંછનો મુગલ રોડ ભારે બરફવર્ષાને બાદ પરિવહન માટે બંધ કરાયો હતો. બરફવર્ષા બાદ તંત્ર દ્વારા રસ્તાઓ સાફ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. પૂંછને સમગ્ર જમ્મુ-કાશ્મીર સાથે જોડતા મહત્વનાં માર્ગ એવા મુગલ રોડ પર 1 થી 2 ફૂટ બરફ જામી જતાં વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો.