મા ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર જાગ્યું : રાપરની ત્રણ જર્જરિત ઇમારતો તોડી પાડવાના આદેશ
કચ્છમાં ફરી વાગડ ફોલ્ટ સક્રિય બનતા ફરી આંચકાનો દૌર યથાવત રહેવા પામ્યો હતો જેમાં ખાસ કરીને રાપર-ભચાઉમાં આવેલા ૩.૪ ની તીવ્રતાથી લઈને ૫.૩ ની તીવ્રતા વાળા આફટરશોકે લોકોના જીવ તાળવે ચોટાડ્યા હતા, તેમા પણ રાપર વિસ્તારમાં આવેલી અનેક જર્જરિત હાલતમાં રહેલી ઇમારતો અનુસંધાને મા ન્યૂઝ દ્વારા થોડા દિવસ પહેલા પ્રસિદ્ધ કરાયેલ અહેવાલના પગલે તંત્ર સફાળું બેઠું થયું હતું અને રાપરમાં જોખમી હાલતમાં રહેલી ઇમારતોના માલિકોને બિલ્ડીંગ તોડી પાડવા અંગે નોટિસ પાઠવાઈ છે.
આ બાબતે મળતી વિગતો મુજબ રાપર શહેરની ત્રણ જર્જરિત ઇમારતો જે ચાલી રહેલા આંચકાઓને પગલે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જે તેવી પરિસ્થિતિમાં હોઇ પાલિકા તંત્રે મા ન્યૂઝના અહેવાલ બાદ આળસ છોડવાની તસ્દી લીધી છે ત્યારે રાપર શહેરની ત્રણ જર્જરિત ઇમારતો જે પૈકી રવેચી ચોક (દેના બઁક ચોક) માં આવેલી મોરબિયા બિલ્ડીંગ સહિતની અન્ય બે બિલ્ડીંગ ત્રણ દિવસમાં ખાલી કરી તોડી પાડવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે બીજી બાજુ એસટી તંત્રની અણઆવડતના હિસાબે એસટી વિસ્તાર પાસે આવેલા જાહેરમાર્ગો પણ બંધ કરાયા હતા ત્યારે ફરી એકવાર માં ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યા બાદ તંત્રને નગર પાલિકા માર્ગ પરનું દબાણ હટાવું પડ્યું હતું અને રસ્તો ખુલ્લો કરાયો હતો.