વડોદરામાં એક IPS અધિકારીએ રૂ.300 કરોડની લાંચ લીધી હતી, જાણો પૂર્વ IPS અધિકારીના ઘટસ્ફોટ
રાજ્યમાં છેલ્લા થોડા સમયથી પોલીસકર્મીઓ જ લાખો રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે, પહેલા રૂ.8 લાખની લાંચમાં જેતપુરના ડીવાયએસપી જે.એમ.ભરવાડ પછી જૂનાગઢ એસીબીના પીઆઇ ડી.ડી.ચાવડા રૂ.18 લાખની લાંચ સાથે ઝડપાયા હતા, તેમની ઉપર 15 લાખની લાંચનો બીજો ગુનો દાખલ થયો છે, એક રીતે જે પોલીસને સમાજની સેવા માટે ખાખી આપવામાં આવે છે, તે જ ખાખી પર ભ્રષ્ટ અધિકારીઓ ડાઘ લગાવી રહ્યાં છે, આ બધાની વચ્ચે ગુજરાત કેડરના નિવૃત IPS અધિકારી રમેશ સવાણી(આર.જે. સવાણી) એ પોલીસ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર IPS અધિકારીઓ કરતા હોવાનો ઘટસ્ફોટ કર્યો છે,અપના અડ્ડા નામના ફેસબુક ગ્રુપમાં તેમને પોસ્ટ કરીને લખ્યું છે કે કેટલાક IPS અધિકારીઓ નોન કરપ્ટ હોવાનો માત્ર ઢોંગ કરે છે, 100માંથી માત્ર 10 અધિકારીઓ પ્રામાણિક હોય છે, બાકીના ભ્રષ્ટાચાર કરે છે !
સવાલ કર્યો છે કે ગુજરાત પોલીસ સર્વિસ, ઇન્ડિયન પોલીસ સર્વિસના અધિકારીઓ જનતાની ‘સેવા’ માટે છે કે કરપ્શન માટે ? પોલીસ શબ્દની પાછળ સર્વિસ મૂકી શકાય ? ગુજરાત પોલીસમાં કરપ્શને હદ વટાવી દીધી છે, આપણે ત્યાં કરપ્શનને નાથવા માટે એન્ટિ કરપ્શન બ્યૂરો છે. પરંતુ આ બ્યૂરોના અધિકારીઓ પોલીસ વિભાગના જ હોય છે, એટલે કે કરપ્શનના રંગે રંગાયેલા હોય છે, 24 ડીસેમ્બર 2019ના રોજ જૂનાગઢ ACBના પીઆઇ ડી.ડી.ચાવડાને રૂપિયા 18 લાખની લાંચ લેતા ACBના અધિકારીઓએ ઝડપી લીધા ! ઓગષ્ટ 2019માં, જેતપુરના DySP જે.એમ.ભરવાડના કહેવાથી કોન્સ્ટેબલે 8 લાખ રૂપિયાની લાંચ લીધી હતી. ફરિયાદી પોલીસ સ્ટેશને જાય ત્યારે ત્યા માતાજીની છબી જોઈને ફરિયાદીને લાગે છે કે પોલીસ ધાર્મિક છે, મદદ કરશે ! પરંતુ ફરિયાદીને તો કંઇ અલગ જ અનુભવ થાય છે, ઢોંગી અધિકારીઓ પછી પૈસૈની માંગ શરૂ કરી દે છે
કહેવત છે કે કઢી અભડાય, દૂધપાક નહીં ! નાનો પકડાય, મોટો નહીં ! સમરથ કો નહીં દોષ ગુસાંઈ ! પોલીસમાં ભ્રષ્ટાચારની ગંગોત્રી ઉપરથી વહે છે, સમરથને ACB પકડી શકતી નથી, નાના કર્મચારીઓ અને નાના અધિકારીઓ પકડાય છે, કરપ્શનનું કારણ શું છે ? પગાર ઓછો પડે છે ? મોરારીબાપૂઓ-પાંડુરંગ શાસ્ત્રીઓ-પ્રગટ બ્રહ્મસ્વરૂપોના ઉપદેશો બિલકુલ અસરહીન છે ? માણસનો સ્વાર્થ બળૂકો બન્યો છે ? કળિયુગનો પ્રભાવ છે ? કારણ શું છે ? મહત્વનું કારણ ભ્રષ્ટ નેતૃત્વ છે, જ્યારે નેતૃત્વ સડેલું હોય ત્યારે કરપ્શન વધે છે, ઘટતું નથી, વહીવટમાં કરપ્શનનો વ્યાપ ખૂબ જ છે, 100 IPS અધિકારીઓમાંથી માત્ર 10 અધિકારીઓ જ પ્રામાણિક હોય છે, આવું જ IAS અધિકારીઓનું છે, લોકોની સેવા માટે સરદાર પટેલે ‘ઓલ ઈન્ડિયા સર્વિસ’નો પાયો નાંખ્યો હતો, પરંતુ સરદારની એ ભાવનાનો આપણી બ્યૂરોક્રસીએ ભૂક્કો બોલાવી દીધો છે !